Saffron Production: આજે પણ ભારત મસાલાના ઉત્પાદનમાં ઘણું આગળ છે.  ઘણા એવા પણ મસાલા છે જે ફક્ત ભારતમાંથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં મળી આવે છે. ભારતના મસાલા બોર્ડ અને કેન્દ્ર સરકારની નીતિ યોજનાઓની મદદથી આ સ્વદેશી મસાલાઓના ઉત્પાદનનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભારતે કેસરના ઉત્પાદનને લઈને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં કેસરના ઉત્પાદનમાં અઢી ગણો વધારો થયો હોવાનું તાજા આંકડા દર્શાવે છે. 


આ સિમાચિન્હ હાંસલ કરવામાં રાષ્ટ્રીય કેસર મિશનની પણ મહત્વની ભૂમિકા રહી છે. જે અંતર્ગત કેસર ઉગાડતા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક ટેક્નિકથી કેસરના ઉત્પાદનમાં સારું ઉત્પાદન મેળવવામાં મદદ મળી રહી છે.


કેવી રીતે કેસરનું ઉત્પાદન અઢી ગણું વધ્યું


ભારતમાં કેસરનું સૌથી વધુ ઉત્પાદન કાશ્મીર ખીણમાંથી મળી રહ્યું છે. જો કે વર્ષ 2010 સુધી કેસરના ઉત્પાદનના ક્ષેત્રમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. એક અહેવાલ અનુસાર કાશ્મીરના કૃષિ નિર્દેશક ચૌધરી મોહમ્મદ ઈકબાલનું કહેવું છે કે, અહીં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે નેશનલ સેફ્રોન મિશન શરૂ કરવામાં આવ્યું હતું.


આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય કેસરની ઉત્પાદકતા તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાનો છે અને આ ધ્યેય સાથે કેસરના પાકમાં જીવાત-રોગ નિયંત્રણ, જમીનની તંદુરસ્તી અને સિંચાઈની સુવિધામાં સુધારો અને કાપણી પછીના યાંત્રીકરણ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જેના પરિણામે જે ખેડૂતોને વર્ષ 2010માં પ્રતિ હેક્ટર ઉત્પાદન 1.88 કિલો મળતું હતું 2022માં તે જ ઉત્પાદન વધીને 5.20 કિલો થયું છે.


ખેડૂતોએ કેસરના વાવેતરમાં ઘટાડો કર્યો હતો


વર્ષ 2010 ના આંકડા દર્શાવે છે કે 1996 સુધી કાશ્મીર ખીણમાં કુલ 5,700 હેક્ટર વિસ્તાર કેસરની ખેતી દ્વારા આવરી લેવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2010 સુધીમાં તે ઘટીને માત્ર 3,700 હેક્ટર થઈ ગયો. આ વલણોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તરત જ 400.11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો.


કૃષિ નિર્દેશક ઈકબાલ કહે છે કે, વર્ષ 2010માં રાષ્ટ્રીય કેસર મિશનની શરૂઆત થઈ ત્યારથી કેસરના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે આ મિશન હેઠળ કેસરનું રેકોર્ડ ઉત્પાદન હાંસલ કરવા માટે પુલવામામાં 3,815 હેક્ટર જમીનમાંથી 2,598 હેક્ટર જમીનને ફળદ્રુપ બનાવવામાં આવી છે. પરિણામે 10 વર્ષ બાદ વર્ષ 2020માં કેસરની વાર્ષિક ઉપજ 18.05 મેટ્રિક ટન પર પહોંચી છે જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતાં. 


જાણો શું છે કેસરની કિંમત? 


જમ્મુ અને કાશ્મીરની ખીણમાં કેસરની મોટા પાયે ખેતી થાય છે. અહીં કાશ્મીરના પુલવામા, બડગામ અને શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં કેસર ઉગાડવામાં આવે છે. અગાઉ 2010માં દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે આ વિસ્તારોમાં કેસર ઉગાડવું મુશ્કેલ હતું, પરંતુ હવે દર વર્ષે વાવણી 15 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી કરવામાં આવે છે અને 30 દિવસમાં 3 વખત ફૂલોની લણણી કરવામાં આવે છે.


એક અંદાજ મુજબ આજે કાશ્મીરના 36,000 પરિવારો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેસરની ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોએ પણ સ્વીકાર્યું છે કે રાષ્ટ્રીય કેસર મિશનએ તેમને વધુ સારું ઉત્પાદન મેળવવામાં મદદ કરી છે. આ મિશનમાં જોડાવા પર એગ્રી ઇન્સ્ટિટ્યૂટ અને એગ્રી યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા વિકસિત તકનીકો વિશે માહિતી આપવામાં આવે છે. આનો ફાયદો એ છે કે આજે કેસરનું જબરદસ્ત ઉત્પાદન કરીને 2.5 થી 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.