મહેસાણા: અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો કરી દેવાયો. અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા હતાં. જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ 2250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
ખેતીમાં જરૂરિયાત ગણાતા એન.પી.કે (NPK) ખાતરના ભાવમાં સરકારે મોટો વધારો કર્યો છે. મહેસાણા પંથકના ખેડૂતો જે સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેના ભાવ હવે આસમાને પહોંચ્યા છે.
ભાવમાં કેટલો તફાવત?
જૂનો ભાવ: રૂ. 1450 (50 કિલોની બેગ) હતા. નવો ભાવ: રૂ. 2250 (50 કિલોની બેગ) થયા. ચોખ્ખો વધારો: સીધો રૂ. 800 નો વધારો એક બેગ દીઠ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે. ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતર બનાવવા માટે વપરાતા રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે, જેને પગલે કંપનીઓ દ્વારા આ વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારો થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.
ખેડૂતે જણાવ્યું કે, 'એક તરફ કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે પૂરું ઉત્પાદન મળતું નથી, અને બીજી તરફ એનપીકે ખાતરના ભાવમાં સીધો 800 રૂપિયાનો વધારો! ખેડૂત ક્યાં જાય? ખેતી ખર્ચ પણ હવે તો નીકળતો નથી."
આ પણ વાંચો- પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે
મહેસાણાના ખેતી પ્રધાન વિસ્તારમાં ખેડૂતો અત્યારે મુંઝવણમાં છે. શિયાળુ પાકની સીઝન હોય કે આવનારી ખરીફ સીઝન, ખાતર વિના ખેતી શક્ય નથી. જ્યારે ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખાતરના આ ભાવ વધારાથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ સેવાઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ સબસિડી જાહેર કરે છે કે પછી જગતનો તાત આ મોંઘવારીના ખપ્પરમાં હોમાતો રહેશે.
