ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ડેરી ફાર્મ સ્થાપના યોજના અંગે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઉભી થાય તે ખૂબ જ જરૂરી છે. પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મૂકાઈ છે.


મંત્રી પટેલે વિગતો આપતા ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ ૨૮ અરજીઓ મંજૂર કરાઇ હતી, અને લાભાર્થીઓને આશરે રૂ. ૨૧.૭૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.


તેમણે કહ્યું કે, ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા દેશી ગાયોના ડેરી ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સહાય પણ આપવામાં આવે છે. ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના હેઠળ કુલ છ ઘટકો હેઠળ વિવિધ સહાય ચૂકવવામાં આવે છે.


 યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં  પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો ૩૦ ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, નેનો યુરિયાની ૫૦૦ મિલી.ની એક બોટલ, ૪૫ કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.

મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સીઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.