ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.


આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલ જણાવ્યું કે,આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તારિખ ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.


તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. ૨૬/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


2 લાખ કિલો કેરીની વિદેશમાં કરવામાં આવી નિકાસ


કેરીનું નામ આવે એટલે દરેક ગુજરાતની મોઢે કેસરનું નામ પહેલા આવે. હવે આ કેસર કેરી ન માત્ર ગુજરાત કે દેશમાં પરંતુ વિદેશમાં પણ લોકોની પહેલી પસંદ બની રહી છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગુજરાતની કેસર કેરી ભારત જેવા કૃષિ પ્રધાન દેશના આર્થિક વિકાસમાં ખેતી અને ખેડૂત બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દેશના ખૂણે-ખૂણેથી અનેક ખેત ઉત્પાદનોનો વિશ્વના વિકસિત દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. કૃષિ ઉત્પાદનોના નિકાસમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.


મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા તેમજ ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે આજે ગુજરાતનો કપાસ, મગફળી અને ફળો સહિતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થઇ રહ્યો છે.ગુજરાતના ધરતીપુત્રો જાતે જ તેમની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેત પેદાશો નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેનો નિકાસ કરવામાં આવ્યો છે.