ભાજપ હાલના ધારાસભ્યોમાંથી 80 ટકા ધારાસભ્યોને રીપીટ નહીં કરે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે તમામ 182 સીટોનું વિશ્લેષણ કરી નાખ્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 182 વિધાનસભા બેઠકો માટે લગભગ 3200 દાવેદારો છે. આ કારણે વર્તમાન 122 ધારાસભ્યો ચિંતામાં મૂકાયા છે અને પોતાનું પત્તુ તો નહી કપાઈ જાય ને તેની પૂછપરછ કરી રહ્યા છે.
દિવાળી પછી પાર્ટીના મોટા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દરેક સીટ માટે 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. નોમિનેશન ફાઈલ કરવાના થોડાક દિવસ પહેલા જ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોનું સિલેકશન કરવામાં આવશે. ત્યાં સુધી ભાજપના ધારાસભ્યોએ ઉજાગરા કરવા પડશે એ નક્કી છે.
આ વખતે પાટીદારોનો વિરોધ, વિકાસના પ્રશ્નો અને અન્ય પરિબળોને કારણે પાર્ટી મહત્તમ નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કરે તેવી શક્યતા છે કે જેથી મતદારોનો વર્તમાન ધારાસભ્યો સામેનો રોષ મુશ્કેલી ઉભી ન કરે. ભાજપના ધારાસભ્યોને જ લાગે છે કે આ વખતે લગભગ 80 ટકા નવા ચહેરા લાવવામાં આવશે.
ભાજપ દ્વારા 2007 અને 2012માં અડધોઅડધ ધારાસભ્યોને ટિકિટ નહોતી આપવામાં આવી. 2007 અને 2012માં તે સમયના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નો રીપિટ થીયરી' લાગુ કરી હતી. ભાજપે આ વખતે પણ એ જ નીતિ અપનાવીને 80 ટકા ધારાસભ્યોને ટિકીટ નહીં આપવાનું નક્કી કર્યું હોવાની વાત ચાલી છે.
ભાજપના વર્તમાન ધારાસભ્યો આ કારણે પણ ચિંતામાં છે. ભાજપમાં લગભગ બે ડઝનથી વધારે સીનિયર કાર્યકરોએ પણ ટિકિટની માંગ કરી છે ત્યારે કોને ટિકિટ મળશે અને કોને નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે પાર્ટીના નેતાઓ ગૌરવ યાત્રામાં વ્યસ્ત હોવાને કારણે ટિકિટ વિષે ચર્ચા નથી કરી પણ દિવાળી પછી આ પ્રક્રિયા હાથ ધરાશે.