અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર લોકો પાસે શું માગ્યો જનાદેશ? જાણો

અમદાવાદઃ અલ્પેશ ઠાકોર દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર જનાદેશ નામની એક પોસ્ટ મુકવામાં આવી છે. આ પોસ્ટમાં તેણે પોતાના સમર્થકો પાસે કયા રાજકિય પક્ષ સાથે જોડાણ કરી શકાય તેનો વિકલ્પ પુછ્યો છે. આ જનાદેશના આધારે અલ્પેશ કયા પક્ષ સાથે જવું તેવું નક્કી કરશે.
અલ્પેશ ઉપર એવો પણ આરોપ મુકાયો છે છે કે તેનું કામ ભાજપ પ્રેરીત છે અને તે ભાજપની ટીમ બી તરીકે કામ કરી રહ્યો છે. એટલું જ નહીં, જનાદેશના નામે તે ચૂંટણી પહેલા ભાજપમાં જતો રહેશે, તેવી અટકળો હાલ તેજ બની છે. અલ્પેશ પોતાના સમર્થકો ભાજપ સાથે જવાની સલાહ આપી રહ્યા છે તેવું જાહેર કરી ભાજપમાં જોડાઇ જશે, તેવી પણ અટકળો છે.
આ બધી અટકળો ચાલી રહી છે, ત્યારે એ પણ ખાસ નોંધવું રહ્યું કે, અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર કોંગ્રેસના નેતા છે અને જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. જો અલ્પેશ ભાજપમાં જાય તો તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવું પડે અથવા કોંગ્રેસના સભ્ય રહી સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લે.
આજે અલ્પેશ ઠાકોરે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેણે 2 ઓક્ટોબરે જનાદેશ મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે. આ સંમેલન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે. આ સંમેલનમાં પાંચ લાખ લોકો ઉપસ્થિત રહેવાનો દાવો તેણે કર્યો છે. આ દિવસે તે કઈ પાર્ટી સાથે જોડાશે, તેની જાહેરાત કરી શકે છે.