અમદાવાદમાં આનંદીબેન પટેલે ઘરે ઘરે જઈને શરૂ કર્યો પ્રચાર, પૂર્વ CM શું બોલ્યા, જાણો વિગતે
ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના માટે નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસો અને કેન્દ્ર સરકાર સમક્ષ કરેલ રજૂઆતો ગુજરાતની પ્રજા ખૂબ જ સારી રીતે જાણે છે.
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભાજપના મીડીયા સેન્ટર ખાતે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, 7થી 12 નવેમ્બર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન પ્રારંભ થયું છે. આ અભિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં પ્રારંભ કરાવ્યો હતો, અને ઘાટલોડીયા વિસ્તારમાં મેં પણ આ સંપર્ક અભિયાન દરમિયાન પ્રજાનો સંપર્ક કર્યો છે, અને ભાજપની વિકાસ કામગીરીની પત્રિકા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના ભાઇઓ અને બહેનોને ઉદેશીને લખાયેલ સંદેશ પણ લોકો સુધી પહોંચાડ્યો છે.
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવેલા નર્મદા યોજના સંદર્ભના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન મળવાના મુદે ઉપસ્થિત થયેલ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતને અન્યાય કરવાની માનસિકતા, નરેન્દ્ર મોદીને યશ ન મળે તેવા નકારાત્મક યુ.પી.એ. સરકારના વલણને પરિણામે આખીયે યોજના 15 વર્ષ વિલંબમાં પડી અને ગુજરાતનું અહીત કોંગ્રેસે કર્યુ, તે બાબતને તેમણે ઉજાગર કરવાની જરૂર હતી.
આનંદીબેન પટેલે પત્રકાર પરીષદમાં ગુજરાતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાઇઓ બહેનોને સંબોધીને લખેલા પત્ર અને સંપર્ક અભિયાન દરમિયાન વિતરણ કરવામાં આવતી પત્રિકા ખુલ્લી મૂકી હતી. આ ઉપરાંત ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન માટે બનાવાયેલા ગીતને પણ ખુલ્લું મૂક્યું હતું.
આનંદીબેન પટેલે આજરોજ નીકીતા પાર્ક, થલતેજ કરેલ સંપર્ક અભિયાનમાં જનસંઘના જુના કાર્યકર્તા, દિવ્યાંગ પરીવાર, જે પરીવારને સરકારનો લાભ મળ્યો હોય, તેવા પરીવાર વગેરેનો સંપર્ક કરી ચર્ચા વિચારણા કરી હતી.
આ અભિયાન દરમ્યાન પેજ પ્રમુખો પોતાને સોંપાયેલા મતદારોનો સર્વે કરશે. આ સર્વેનું બુથમાં સંકલન કરવામાં આવશે, શક્તિકેન્દ્રમાં સંકલન કરવામાં આવશે, અને બુથમાં વધુ યશસ્વી વિજય કેવી રીતે પ્રાપ્ત થઇ શકે તેનું પણ આયોજન કરવામાં આવશે.
રાજકીય ક્ષેત્રમાં જન જનનો સંપર્ક કરવો, સરકારે કરેલી કામગીરી પહોંચાડવી તે મહત્વની બાબત ગણાય છે, જેને ભારતીય જનતા પાર્ટી એ હાથમાં લીધી છે, અને 7થી 12 નવેમ્બર સુધીમાં લાખો કાર્યકર્તાઓ ગુજરાતના ઘરે ઘરે પહોંચીને ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનું કામ પૂર્ણ કરશે.