આતંકવાદી હુમલો નહીં કરી શકતા વસિમને શાહઝીન 'નામર્દ' કરીને ટોણા મારતી
તેઓ આઇએસના ઓપરેટર બીગકેટ અને વનગોલ જેવા નામોની સાથે પરસ્પર સંપર્કમાં રહેતા હતા. તેમણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તેમના જેવા વધુ ૪૦ શંકાસ્પદો ફેલાયેલા હોવાનો ખુલાસો કર્યો છે. જેઓ આઇએસની વિશ્વભરમાં ચાલતી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. હવે પોલીસ આ તમામ લોકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે કે જેથી તેઓના અસલી ઇરાદાઓ સુધી પહોંચી શકાય.
બંનેની ધરપકડ પછી જપ્તી દરમિયાન દેશી બોંબ, ગન પાવડર, માસ્ક, કોમ્પ્યુટર સહિત અનેક સામાન જપ્ત થયો છે. કોમ્પ્યુટર અને મોબાઇલમાંથી પ્રતિબંધિત સાહિત્ય પણ મળ્યુ છે. વસીમ અને નઇમે પુછપરછમાં આઇએસના વડા બગદાદી અને લાદેનને પોતાના રોલ મોડલ ગણાવ્યા હતા.
અમદાવાદ: રાજકોટ અને ભાવનગરમાંથી બે દિવસ પહેલા પકડાયેલા આઇએસના આતંકીઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલામાં તપાસ એજન્સીઓ હવે પકડાયેલા ત્રાસવાદી વસીમની પત્ની શાહજીનની પણ પુછપરછ કરી રહી છે. વસીમે જણાવ્યુ હતુ કે, પત્ની કાયમ આઇએસ દ્વારા આપવામાં આવેલા કામને યોગ્ય રીતે અંજામ ન આપવાના કારણે તે મને નામર્દ કહી ટોણો મારતી હતી.
તપાસમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આઇએસના હેન્ડલર્સ તરફથી મળેલા નિર્દેશ બાદ તેઓએ રાજકોટની સદરની બજારમાંથી ફટાકડાની ખરીદી કરી હતી અને આઇડી બનાવવા માટે ૯ વોલ્ટની બેટરી પણ ખરીદી હતી. બંને ભાઇઓ ટવીટ્ર, ફેસબુક અને ટેલીગ્રામ મેસેજીંગ એપ થકી આઇએસઆઇએસના ત્રાસવાદીઓ સાથે સંપર્કમાં રહેતા.
વસીમે તપાસમાં એમ જણાવ્યું હતું કે, પત્ની દ્વારા વારંવાર ટોણા મરાતા વસીમ ઘણો નર્વસ થઇ ગયો હતો. વસીમ પત્નીના ટોણાથી નર્વસ થઇ ગયો હતો અને તે ૧પ જાન્યુઆરીએ ચોટીલા ગયો હતો, પરંતુ પકડાવાના ડરથી શહેરથી ૧૦ કિ.મી. દુરથી જ અટકી ગયો હતો. બંને ભાઇઓએ પ્લાન બનાવ્યો હતો કે, તેઓ પોતાની ગાડી ભાવનગર લઇ જશે, પરંતુ પકડાવાના ડરથી તેઓએ ત્યાં ગાડીમાં વિસ્ફોટક નહોતા રાખ્યા.