‘ભાજપ ઘરના ગદ્દારોથી બચે’. ગુજરાત ભાજપના ક્યા નેતાની ટ્વિટથી થયો વિવાદ, પછી ટ્વિટ કરવી પડી દૂર
અમદાવાદઃ ભાજપ યુવા મોરચાના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે કરેલી ટ્વિટથી ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે અને ભાજપમાં ચાલતી જૂથબંધી બહારર આવી ગઈ છે. ડો.ઋત્વિજે બુધવારે ટ્વિટ કરી હતી કે, ભાજપ યુવા મોરચાના યુવાનોએ ઘરમાં છૂપાયેલા ગદ્દારોથી સાચવીને રહેવું જોઈએ.
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, ગુજરાતમાં અને સમાજમાં રહેલા ગદ્દારો અંગે મેં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આપેલી સ્પીચમાં ઉલ્લેખ કર્યો જ હતો, એ જ ઉલ્લેખ ટ્વિટર પર કરાયો હતો. તાજેતરમાં ભાજપ ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પદે ડો.ઋત્વિજ પટેલની નિમણૂંક કરાઈ છે.
ભાજપમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કોઈ નેતાના ઈરાદે આ પ્રકારનું જાહેરમાં નિવેદન કરાયું છે. તેવી ચર્ચા ડો.ઋત્વિજે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મારો ઈશારો ઘરમાં યાને ગુજરાતમાં અને સમાજમાં રહેલા અને સમાજને તથા ગુજરાતને તોડવાનું કામ કરતા ગદ્દારો તરફ હતો.
આ ટ્વિટ તરત વાયરલ થઈ હતી અને ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મુદ્દે સોશિયલ મીડિયામાં હોબાળો થયો હતો અને ભાજપના નેતાઓએ પણ વાંધો લેતાં પછીથી એ ટ્વિટ દૂર કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ત્વિજ પટેલનો કોની તરફ ઈશારો છે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.
ડો.ઋત્વિજે ભાજપમાં રહીને ભાજપને તોડવાનું કામ કરતા તત્વો તરફ ઈશારો કર્યો હતો ત્યારે આ તત્વો કોણ છે તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઈએ તેવી માગણી પણ કેટલાક નેતાઓએ કરી હતી. બીજી તરફ જાહેરમાં પક્ષને શરમજનક સ્થિતીમાં મૂકી દેવા બદલ ઋત્વિજ પટેલ સામે કેટલાક નેતાઓએ આક્રોશ પણ દર્શાવ્યો હતો.