અ'વાદઃ કસાઇની કારમાંથી મળ્યા વાછરડાં, ગૌરક્ષકોએ ઢોર માર મારી પતાવી દીધો
શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વીએસ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.મૃતકના પરિવારજનોને લાશ લેવા અને આરોપીઓ સામે ખૂનની કલમ ઉમેરીને ધરપકડ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરિવારજનોએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતું કે,પોલીસ પક્ષપાતભર્યુ વલણ અપનાવી રહી છે.
ઘટના સ્થળે દોડી આવેલા ગૌરક્ષકોએ મોહમ્મદ અયુબને ઢોર માર-મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ગૌરક્ષકોએ મહંમદ અયુબ વિરુદ્ધ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરવાનો આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. જયારે ઈજાગસ્ત મહંમદને વધુ સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતો. વીએસ હોસ્પિટલમાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ મહંમદ અયુબનું મૃત્યુ નિપજતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એકઠા થયા હતા.
પોલીસના કહેવા પ્રમાણે, એસ.જી.હાઈવે ઉપર ઓનેસ્ટ ત્રણ રસ્તા નજીક મંગળવારે મોડી રાતે 1.30 વાગ્યે ઈનોવા અને ઈંડિગો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. ઇન્ડિગો કારના ચાલક મહંમદ અયુબને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઇન્ડિગો કારની ડેકીમાં એક નાનું અને મોટું એમ બે વાછરડાં કતલખાને લઇ જવાતા હતા. આ ઘટનાની જાણ થતાં ચાંદલોડિયામાં રહેતા જનક મિસ્ત્રી અને જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે મોટું વાછરડુ મોતને ભેટ્યુ હતું જ્યારે અન્ય વાછરડાને સારવાર આપીને પાંજરાપોળમાં મોકલી અપાયું હતુ.
ઘટનાની જાણ થતાં સેકટર-૧ જોઇન્ટ કમિશનર રાજીવ રંજન ભગત તાબડતોડ વીએસ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકના પરિવારજનોની માંગણી છે કે, જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પહોંચી જતાં પોલીસે ધારાસભ્ય સહિત 70ની અટકાયત કરી હતી
અમદાવાદઃ એસજી હાઈવે પર 13 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે વાછરડાં લઈને જતી ઈન્ડિગો કારને અકસ્માત થતાં ગૌરક્ષકોએ કસાઇ મહંમદ અયુબને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહંમદ અયુબને સારવાર અર્થે વીએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેમનું ગઇકાલે સાંજના પાંચ વાગે મોત નીપજ્યુ હતું. તેને પગલે પોલીસે ગૌરક્ષકો વિરુદ્ધ ખૂનની કલમો લગાવી તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કર્યો હતો.