નિકોલમાં 135 વારના બદલે 125 વારના ફ્લેટ આપવા બદલ 8 બિલ્ડરો થશે જેલભેગા, જાણો શું છે મામલો
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ નાલંદા આયર્ન રેસિડન્સીના રહીશોએ ઓછી જગ્યાના ફ્લેટ પધરાવી દેવાના મામલે મીરજાપુર કોર્ટે 8 બિલ્ડર સહિત 10 આરીપો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે તમામ આરોપીને હાજર થવા સમન્સ ઈશ્યૂ કર્યા છે.
મળતી વિગતો મુજબ નિકોલ વિસ્તારમાં આવેલ નાલંદા આર્યન રેસિડન્સીમાં રમેશકુમાર સાવલિયાએ 135 વારના બાંધકામનો 2013માં ફ્લેટ ખરીદ્યો હતો. પઝેશન બાદ ઘરની માપણી કરાવી તો જાણવા મળ્યું કે, બાંધકામ 135ના બદલે 125 વારનું જણાયું હતું. રમેશકુમારે ફલેટના અન્ય રહીશોને તેની જાણ કરી હતી.
અન્ય રહીશોએ માપ લેતાં તેમના ફ્લેટ પણ 125 વારના હોવાનું જણાયું હતું. આર્યન ડેવલપર્સના ભાગીદાર નીલેશભાઇ પોકારને આ અંગેની ફરિયાદ કરી હતી અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે ફરિયાદ ના લેતાં 2015માં મીરજાપુર કોર્ટમાં રમેશકુમાર સહિત 20 રહીશોએ કોર્ટમાં બિલ્ડર નીલેશ પોકાર અને અન્ય 9 વ્યકિત સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. કોર્ટે રહીશોની ફરિયાદ સબમિટ કરતાં નિકોલ પોલીસ સ્ટેશનને તપાસ કરવાના આદેશ કરીને એક મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો હતો.
નિકોલ પોલીસે કોર્ટમાં રિપોર્ટ 2016માં સબમિટ કર્યો હતો. જેમાં પોલીસે બિલ્ડર તથા રહીશો વચ્ચે તકરાર ચાલતી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. જોકે કોર્ટે પોલીસે કરેલા રિપોર્ટને ફગાવ્યો હતો. ફ્લેટમાં રહેતા 9 કરતાં વધુ રહીશોની જુબાની નોંધ્યા બાદ પુરાવાઓ પણ કોર્ટમાં ચકાસાયા હતા. તમામ દસ્તાવેજોને ધ્યાને લઇને કોર્ટે પૂર્વ યોજિત કાવતરું ઘડીને છેતરપિંડી બદલ ગુનો દાખલ કર્યો છે. કોર્ટે તમામ 10 આરોપીને અાજે કોર્ટમાં બોલાયા છે.
તમામ આરોપી વિરૂદ્ધ (૪૦૬) વિશ્વાસઘાત, (૪ર૦) છેતરપિંડી, (૪૬૭-૬૮) બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી, (પ૦૬-ર) મારી નાખવાની ધમકી, (૯૪-ખ) ગાળો બોલવી, (૧ર૦-બી) કાવતરું, (૧૧૪) એકબીજાની મદદગારી કરવી, (૧૪૩) ગેરકાયદે મંડળી રચવી, (૧૪૭) હથિયાર લઇ આવવું કલમ હેઠલ ફરિયાદ નોંધાઈ છે.
આ કેસમાં નીલેશભાઇ ધનજીભાઇ પોકાર, રાજેશ રમેશભાઇ પોકાર, ચીમન એન. પટેલ, પ્રદીપ મોહનભાઇ પટેલ, મૂકેશ ચીમનભાઇ પટેલ, ભાર્ગવ જયંતીભાઇ પટેલ, દિનેશ કાંતિભાઇ પટેલ, સુરેશ પટેલ, વિનોદ પટેલ અને અનિલ પુંજાભાઇ ગરણિયા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.