અમદાવાદઃ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની ધરપકડ, વરુણ પટેલ નજરકેદ
અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારીને લઈને અલ્પેશ ઠાકોરે વાઈબ્રન્ટ સમિટનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે સરકાર સાથેની મુલાકાત પછી આ જાહેરાત પરત ખેંચી લીધી હતી. જોકે, જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે જીજ્ઞેશ અડાલજથી ગાંધીનગર કુચ કરે તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં અનેક વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની અસ્મિતા માટે વિરોધ ન કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જો માર્ચ મહિના સુધી કોઇ ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોરે રવિવારે સાંજે વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરવાનું એલાન પાછું ખેંચી લીધું છે. આ નિર્ણય તેમણે રાજ્ય સરકાર સાથે રવિવારે મીટિંગ કર્યા પછી જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી કાર્યાલયના સનદી અધિકારી કે. કૈલાસનાથન સાથે મીટિંગ થઈ હતી. તેમણે માર્ચ મહિના સુધી બેરોજગાર યુવાનો મામલે કોઇ યોગ્ય નિર્ણય સરકાર તરફથી લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
જીજ્ઞેશ મેવાણીને ધરપકડ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લવાયો છે. તેની ધરપકડ પછી પોલીસ સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ન ઘુસવા દેવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જાહેરનામાના ભંગ અંગેનો મેવાણી સહિતના લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે પણ પોતાની અટક કરાયા હોવાની અને અત્યારે તેને બોપલ પોલીસ સ્ટેશને લવાયો હોવાનો મેસેજ વોટ્સએપ પર મૂક્યો છે.