ગુજરાતમાં કોંગ્રેસના ક્યા દલિત આગેવાન ભાજપમાં જોડાયા ? ભાજપને થશે શું ફાયદો ? જાણો વિગત
દલિત આગેવાન ઈશ્વર મકવાણા 2002માં મહેસાણા જિલ્લાની જોટાણા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકીટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. 2007માં તે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડો. કિરીટ સોલંકી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા હતા.
કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ ડહોળાયેલા વાતાવરણના કારણે કોંગ્રેસના શહેર કક્ષાના આગેવાનો તથા ભૂતપૂર્વ હોદેદારોની ધીરજ ખૂટી ગઈ છે અને તેમણે ભાજપમાં જોડાવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં રાજકોટમાં શંકરસિંહ વાઘેલાના સમર્થક માનતા બે આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તેમજ સીન્ડીકેટ સભ્ય તથા પૂર્વ માધ્યમિક શિક્ષણ બોર્ડના ડાયરેક્ટર મહેશ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભાજપમા જોડાયા હતા. ભાજપ અગ્રણીઓએ તેમના ભાજપ પ્રવેશને આવકાર્યો હતો. હવે ઈશ્વર મકવાણાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર છે ત્યારે દલિત આગેવાન ઈશ્વર મકવાણા ભાજપમાં જોડાતાં ભાજપને દલિત મતો પોતાની તરફ વાળવામાં મદદ મળશે. પાટીદારોના કારણે થયેલું નૂકસાન સરભર કરવાની ભાજપની ગણતરી છે.
અમદાવાદઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતી ખેંચતાણના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં હતાશા છે ને તેના કારણે ભાજપ તરફ વળવાનો પ્રવાહ શરૂ થયો છે. આ પ્રવાહમાં સોમવારે ભૂતપૂર્વ ધારાસભ્ય અને દલિત આગેવાન ઈશ્વરભાઈ મકવાણા ભાજપમાં જોડાઈ ગયા છે.