ફિક્સ પગારદારો માટે ખુશખબર, જાણો શું ઠરાવ થયો પસાર? આ ઠરાવ સામે કોને પડ્યો વાંધો? જાણો વિગતો
આ મુદ્દે થોડા સમય પહેલાં 1997 પછી નિમાયેલા કર્મચારીઓએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી પણ નિરાકરણ ન આવતાં તેમણે ધારાસભ્યોને રજૂઆત કરવી પડી છે. આ ઉપરાત 4 માર્ચે રાજ્યના તમામ જીલ્લામાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારો માટે ખુશખબર છે કે રાજ્યના નાણા વિભાગે તેમની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.
આ કારણે પ્રાથમિક શિક્ષક સંઘે 2006 પહેલાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને બઢતી, સિનિયોરીટી કે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મૂળ તારીખ પ્રમાણે આપવાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે. ગુજરાતમાં 1997-98થી પ્રાથમિક શિક્ષણમાં ફિક્સ પગારમાં શિક્ષકોની વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવતી હતી.
નાણા વિભાગે 18-1-2017ના ઠરાવમાં 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણવામાં આવશે તેવું ઠરાવ્યું છે. આ નિર્ણયથી 1997-2004-2005માં ભરતી થયેલ વિદ્યાસહાયકો સિનિયોરીટી અને પગારમાં પાછળ જાય તેવી શક્યતા છે.
એ સમયે વિદ્યાસહાયકોને રૂ.2500, રૂ.4500, રૂ.5300, રૂ.7800, રૂ.9300 અને રૂ.10,000 સુધીનો માસીક પગાર ચૂકવવામાં આવતો હતો. એ વખતે ફિક્સ પગારમાં પાંટ વર્ષ સુધી કરેલી નોકરીના સમયને બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં ગણતરીમાં લેવામાં આવતો નહોતો પણ હવે ગણતરીમાં લેવાશે.
જો કે આ ઠરાવ સામે 2006 પહેલાં નિમાયેલા શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો છે. 1997 પછી નિમાયેલા શિક્ષકોની આ ઠરાવમાં ગણતરી કરવામાં ન આવતાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે ગઈકાલે પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના તમામ ધારાસભ્યોને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.