‘સરદાર ગોરોં સે લડે થે, હમ ચોરોં સે લડ રહે હૈં’, હાર્દિકની સભામાં ગાજ્યા સૂત્રો, હાર્દિકે શું કર્યો હુંકાર? જાણો
હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો સમાજમાં ભાગલા પાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આપણે બીજા થી નહીં પણ આપણા જ લોકોથી ડરવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે જે લોકો સમાજમાં ભાગલા પાડવા માગે છે તેમની ખૈર નથી. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે દેવું વધારી વિકાસ કર્યો છે, દેવામાં સતત વધારો થયો છે તે ખરેખર વિકાસ જ નથી. કેશુબાપાને આપણા સમાજના સાથ સહકારની જરૂર છે તેમને માન આપવું જોઇએ.
સભામાં નલિયા કાંડનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ નિર્દોષો પર અત્યાચાર કરશે તો હું ચલાઇ લઇશ નહીં. જો પોલીસે સિંઘમ બનવું હોય તો નિર્દોષ પર અત્યાચાર કરી નહીં પરંતુ નલિયાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી સિંઘમ બનવું જોઇએ.
હાર્દિકે જણાવ્યું કે, ભારતના દરેક બાળ 'જય જવાન જય કિસાન'ના નારાથી પરિચિત છે. ભારતમાં જ્યારે બોર્ડર પર દેશનો જવાન જાગે છે ત્યારે આપણે અહીં શાંતિથી સુઇ શકીએ છીએ. તેમની શહીદી 125 કરોડની જનતાની સલામીની હક્કદાર હોય છે. હાર્દિકે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધાને ખબર છે કે, આ સરકાર હજારો કત્લો કરી, કરાવી સત્તા પર બેઠી છે અને તે મુદ્દો હિન્દુસ્તાનની જનતા જાણે છે. હું કોઇનાથી ડરતો નથી અને તમે લોકો મારી સાથે છો તેથી તે લોકો પણ મને કંઇ કરવાની હિંમત રાખતા નથી. હું જંગલના રાજા સિંહ જેવો છું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, 14 પાટીદાર યુવાનો અનામત આંદોલન વખતે શહીદ થયા તેમણે તે સમાજ ધર્મ છે, જે આર્મીમાં શહીદ થયા તે માનવધર્મ છે અને જે જવાનો બોર્ડર પર રહી દેશની સેવા કરે છે તે રાષ્ટ્રધર્મ છે. હજારો લોકોની હાજરીમાં હાર્દિકે મૌન પાડ્યું હતું. ત્યારે ટાંકણી પડે તો પણ અવાજ આવે તેટલી શાંતી હતી. ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદાર શાંત રહે તો અવાજ ન કરે અને જ્યારે અવાજ કરે તો કોઇના બાપનું પણ ન માને.
ગાંધીનગરઃ વર્ષ 2015માં 25 ઓગસ્ટે યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની મહારેલી બાદ એટલે કે આશરે દોઢ વર્ષ પછી હાર્દિક પટેલને અમદાવાદમાં સભા કરવાની મંજૂરી મળતા નિકોલના ભોજલરામ પાર્ટી પ્લોટ ખાતે તેની સભા યોજાઈ. હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં એવા અનેક કાંડ અને બનાવો બની રહ્યા છે જેમાં પોલીસે સિંઘમ બનવાની જરૂર છે. આમ કહેતા હાર્દિકે નલિયા કાંડ તેમજ રાજ્યમાં મહિલાઓ પરના દુષ્કર્મના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.
પાસના કન્વિનર હાર્દિક પટેલ પાટીદાર આંદોલન હજુ પુરુ ન થયું હોવાનું તથા હજુ આંદોલન જારી રાખવાના દાવો કરતાં જણાવ્યું હતું કે, સમાજ માટે લડવું તે દેશદ્રોહ છે તો હું તેનો ગુનેગાર છું. પરંતુ હવે હું પાછીપાની નહીં કરું. આપણે અનામત મેળવવા માટે એકત્ર થયા છીએ. આપણી પર થયેલા અત્યાચારો હજુ ભૂલ્યા નથી, ન્યાંયત્રંતને માનું છું પરંતુ હવે સરકાર જેમ કહેતી હોય તે રીતે લડવા હું તૈયાર છું.
પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આંદોલન હવામાં ફેલાઇ ગયુ છે અને હવે સરકાર અમને રોકશે પરંતુ હવાને કેવી રીતે રોકશે. ઉપરાંત સરદાર ગોરો સે લડે થે હમ ચોરે સે લડ રહે હેના સૂત્રોચ્ચાર પણ ગુંજી ઉઠ્યા હતા. હાર્દિકે શહીદ લાન્સ નાયક ગોપાલસિંહના પિતાને પગે લાગી તથા શહીદ ઋષિકેશ રામાણીને યાદ કરી મૌન પાળ્યું હતું.
હાર્દિકે લોકોને પ્રશ્ન કર્યો કે, તમારા ઘરમાં કોઇ PSI, PI, મામલતદાર જેવી મોટી પોસ્ટ પર છે. તો લોકોએ નકારામાં જવાબ આપ્યો, ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષ બાદ ફરી અહીં આવવાનું થાય અને તમારા ઘરમાં કોઇ પીએસઆઇ, પીઆઇ કે મામલતદાર સહિતની પોસ્ટ પર હોય તે માટે મારી આ લડાઇ છે.