કોંગ્રેસમાં ક્યા પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે થયો ડખો ?
વયોવૃધ્ધ ધારાસભ્યોએ પોતાને ટિકીટ ન મળવાની હોવાય તો તેમના સંતાનો-સગાને ટિકીટ આપવા માંગ કરી છે. આ જોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે પરિણામે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર આંતરિક જૂથવાદ વકરે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.
અમદાવાદઃ દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને લઈને પણ ડખો ઊભો થયો છે.
હવે ફરી ૨૮મીએ અમદાવાદમાં જ સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી રહી છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અન્ય બેઠકોમાં ઉમેદવારોની પસંદગી માટે આ બેઠકમાં કવાયત હાથ ધરાશે. આમ, ટિકીટની વહેંચણી બાદ કોંગ્રેસમાં વિવાદ વકરે તેવી ભયને પગલે અત્યારથી ડેમેજકંટ્રોલરો કામે લાગ્યાં છે. દાવદારોને સમજાવવા મથામણ થઇ રહી છે.
નોંધનીય છે કે, કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહીં આપવા નક્કી કર્યુ હતું. આ નિર્ણયને પગલે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જોઇતાભાઇ પટેલ, નટવરસિંહ ઠાકોર, ધારસિંહ ખાનપુરાની ઉંમરને પગલે કોંગ્રેસે ટિકીટ નહીં આપવા મન બનાવ્યું હતું. જોકે, વિધાનસભા વિપક્ષના નેતા મોહનસિહ રાઠવાએ જીદ કરતાં આ મામલે વિવાદ થયો છે.
સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાતિવાદના આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે, ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે.