શંકરસિંહ બાપુ બગડતા કોગ્રેસ પાણીમાં બેઠી, યુથ કોગ્રેસનો કાર્યક્રમ જ રદ, જાણો શું અપાયું બહાનું
કોંગ્રેસનું એક જૂથ ઇચ્છે છે કે શંકરસિંહના કાર્યકરોનો પાયો મજબૂત છે અને તેઓ વ્યુહ રચના ઘડવામાં માસ્ટર છે અને કાર્યકરોને ગમતા નેતા છે. તેઓ એક જ એવા નેતા છે જેઓ વડાપ્રધાન, સંઘ અને ભાજપને સારી રીતે જાણે છે. જયારે બીજુ જૂથ માને છે કે, બાપુના આદર્શો મૂળ કોંગ્રેસી જેવા નથી. જો તેઓ પક્ષ છોડી દેશે તો કોંગ્રેસને વધુ ફાયદો થાય તેમ છે. જો કે થોડા દિવસથી શંકરસિંહનું મૌન પક્ષના કાર્યકરોને અકળાવી રહ્યુ છે.
શંકરસિંહ વાઘેલાની નારાજગીને પગલે કાર્યક્રમ રદ કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. એક તરફ કોગ્રેસ વાઘેલાની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી તો બીજી તરફ પક્ષના દરેક નિર્ણયમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે. પક્ષમાં હવે એવી ચર્ચા ઉઠવા લાગી છે કે વાઘેલા પક્ષ માટે લાભદાયી છે કે નથી ?
યુવા મિલન સંવાદ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં શંકરસિંહ વાઘેલાનું નામ છાપવામાં આવ્યું ન હોવાના કારણે વિવાદ પેદા થયો હતો. ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કોગ્રેસમાં કોઇ વિવાદ નથી કારણ કે બાપુએ અમને અગાઉથી જ કહી દીધું હતું કે તેઓ બીજા કાર્યક્રમમાં જવાના હોવાથી આ કાર્યક્રમમાં હાજર નહી રહે. જેથી અમે તેમનું નામ છાપ્યું નહોતું.
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અધ્યક્ષસ્થાને હાજર રહેવાના હતા. જયારે ગુજરાત ઇન્ચાર્જ અશોક ગેહલોત અને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ અમરીન્દરસિંહ રાજા પણ તેમાં ભાગ લેવાના હતા. આ કાર્યક્રમ રદ થતા અગાઉ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાના નિવાસે તેમને મળ્યા હતા.
કોગ્રેસે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને આ કાર્યક્રમને રદ કરવા પાછળનું કારણ ગણાવ્યું હતું. જોકે, કાર્યક્રમને મોકુફ રાખવા પાછળનું કારણ અલગ હોવાનું સૂત્રો માની રહ્યા છે. આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના નેતાઓ આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવાના હતા.
અમદાવાદઃ અમદાવાદમાં આવતીકાલે યોજાનારા કોગ્રેસના યુવા મિલન સંવાદ કાર્યક્રમને પડતો મુકવામાં આવ્યો છે. કોગ્રેસે આ કાર્યક્રમ રદ કરતા અનેક પ્રકારની અફવાઓએ જોર પકડ્યું, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કાર્યક્રમ રદ કરવા પાછળ શંકરસિંહ વાઘેલાને કારણભૂત માનવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શંકરસિંહનું નામ પ્રસિદ્ધ ન થતાં તેઓ ભારે નારાજ થયા હતા. જેને કારણે તેઓ આ કાર્યક્રમમાં પણ ભાગ લેવાના ન હતા.