ભરતસિંહ સોલંકી હવે નહીં જાય લંડન-અમેરિકા, જાણો શું છે કારણ ?
ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે તેમના રાજીનામાની વાત અંગે ખુલાસો માંગતા ભરતસિંહ પ્રવાસ રદ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભરતસિંહે બરફ વર્ષાનું બહાનું બતાવી આ પ્રવાસ રદ કરવા અંગે ટ્વિટ કર્યું છે. ભરતસિંહની રાજીનામું આપવાની વાતને લઈ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત નારાજ હોવાની પણ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમેરિકા-લંડનનો પંદર દિવસનો પ્રવાસ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત બહાર આવ્યા બાદ ભરતસિંહ સોલંકીએ વિદેશ જવા નિર્ણય લીધો હતો.
એક ચર્ચા પ્રમાણે ભરતસિંહને રાજ્યસભામાં ન મોકલતા તેઓ નારાજ હોવાથી તેમણે રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં, રાજ્યસભા માટે ગુજરાતના બે ઉમેદવારોની પસંદગીમાં પણ તેમને વિશ્વાસમાં લેવાયા હોવાનું પણ ચર્ચા છે. ઉપરાંત પ્રદેશ પ્રમુખ તરીકે તેમને ફ્રી હેન્ડ પણ અપાયો નથી. પરિણામે ગુજરાતમાં સંગઠનનું માળખું યોગ્ય રીતે ચલાવી શકતા નથી.
તાજેતરમાં દિલ્હી ખાતે કોંગ્રેસ મહાઅધિવેશન દરમિયાન એઆઇસીસીના સભ્યોની નિમણૂંકમાં ભરતસિંહે પોતાના માણસોને પ્રાધાન્ય આપ્યું હોવાની ફરિયાદ થતાં કેન્દ્રીય કોંગ્રેસ કમિટીએ ભરતસિંહને ઠપકો આપ્યો હોવાની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે.