કોંગ્રેસની સરકાર રચાશે તો યુવાનોને કેટલું આપશે બેરોજગારી ભથ્થું, જાણો સંપૂર્ણ વિગત

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ બન્ને પક્ષો વોટરોને ખેંચવા માટે લોભામણી જાહેરાતો લાવતા જાય છે. મંગળવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસે સત્તાધારી ભાજપા પર નિશાન સાંધીને કહ્યું હતું કે સરકાર આજના ટેલેન્ટેટ યુવાનોને ફિક્સ પગારે નોકરી આપીને યુવાનોનું આર્થિક, શારિરીક અને માનસિક રીતે શોષણ કરી રહી છે.
કોંગ્રેસે ગુજરાતના લોકોને વચન આપ્યું છે કે, જો તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનશે તો ધોરણ-12 સુધી ભણેલા યુવાનોને રૂ.3000, ગ્રેજ્યુએટ યુવાનોને રૂ.3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોને રૂ. 4000નું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.
આજે નવસર્જન યુવા રોજગાર અભિયાનની જાહેરાત કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષોથી ભાજપની સરકાર લોકોની જરૂરિયાત પુરું કરવામાં નિષ્ફળ નીવડી છે. અને ખાસ કરીને ભણેલા યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં 10 લાખ યુવાનો સરકારી ચોપડે બેરોજગાર છે. જ્યારે નહીં નોંધાયેલા યુવાનોની વાત કરીએ તો તેનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.