હાર્દિક પટેલ ક્યારે જશે મંદસૌર ? નરેન્દ્ર મોદી પર કર્યો કેવો કટાક્ષ ? જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મધ્યપ્રદેશમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ ફાયરિંગની નિંદા કરી હતી. હાર્દિક પટેલ 12 જૂનના રોજ મંદસૌરમાં ખેડૂતો સાથે મુલાકાત કરી શકે છે.
સુરતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતનો પાટીદાર સમાજ મધ્યપ્રદેશના ખેડૂતો અને તેમના આંદોલનનું સમર્થન કરે છે. હાર્દિક પટેલે આ સંદર્ભમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોદી અને શિવરાજ સરકારની ટીકા કરી હતી.
તેણે કહ્યુ કે, ગુજરાતનો પાટીદાર સમાજ હમેશાથી મધ્યપ્રદેશના ખેડૂતોના સમર્થનમાં છે. અમે તેમની લડાઇમાં તેમની સાથે છીએ. હાર્દિક પટેલે મધ્યપ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારની ટીકા કરતા અનેક ટ્વિટ કર્યા હતા.
ગુજરાતમાં દેશદ્રોહના બે કેસનો સામનો કરી રહેલા હાર્દિકે કહ્યું કે, મધ્યપ્રદેશમાં જે કાંઇ થયું તે નિંદનીય છે. દેશનું પેટ ભરનારા ખેડૂતો પર ગોળીઓ વરસાવામાં આવી રહી છે. આ ખરેખર શર્મનાક છે. જો જરૂર પડી તો હું 12 જૂનના રોજ મંદસૌરની મુલાકાત કરીશ.
હાર્દિકે વડાપ્રધાન મોદીની ટીકા કરતા ટ્વિટ કર્યું હતું કે, હું તમારુ પેટ ભરું છું અને તમે મારા પર ગોળીઓ વરસાવો છો. ચોકીદાર બનીને આવ્યા હતા સાહેબ, શું ચોકીદાર પોતાના માલિકને મરાવે છે?
હાર્દિક પટેલે ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ જાતે જ વાહનોને આગ ચાંપી રહી છે, તોડફોડ કરી રહી છે અને ખેડૂતો પર આરોપ લગાવી રહી છે. ગુજરાતમાં પણ પોલીસે એવું જ કર્યું હતું.