હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ, જાણો હાર્દિકે ટ્વિટ કરીને શું કહ્યું?
જોકે 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.
હાર્દિક પટેલનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યું હતું. ડોક્ટરે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી જોકે, હાર્દિકે સારવાર લેવાનો ઈન્કાર કરી દીધો છે.
અમદાવાદઃ પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલના ઉપવાસનો આજે 7મો દિવસ છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. ઉપવાસના કારણે હાર્દિકની તબિયત લથડી છે અને હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે. ઉપવાસના 7 દિવસે હાર્દિક ઊઠીને ચાલી પણ શકતો નથી અને માંડ માંડ બોલી શકે છે.
કનુભાઈ કળસરિયા હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. કનુભાઈએ કહ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતો માટે લડતા લોકોને સરકારે સાંભળવા જોઈએ. હાર્દિક અન્નજળનો ત્યાગ કરીને નિસ્વાર્થ ભાવે લડત લડી રહ્યો છે. હાર્દિક પ્રત્યે લાગણી હોવાથી લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા છે. આ લડત આઝાદી માટેની લડત છે.
હાર્દિક છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. શુક્રવારે તેનું વજન કરવામાં આવતા તેમાં અત્યાર સુધીમાં સાડા ચાર કિલોનો ઘટાડો થયો છે.