યુવકે પત્નિને જાહેરમાં ખંજરના 10 ઘા મારીને પોતાના શરીર પર 3 ઘા કર્યા ને એસિડ પી લીધો, શું આવ્યો અંજામ? જાણો
આ ખૂની ખેલ જોઈને સ્તબ્ધ થઈ ગયેલા રાહદારીઓએ આ યુગલને લોહીલૂહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. જે પૈકી યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે મહિલાની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે દંપતીની આ લોહીયાળ તકરારમાં છ વર્ષની બાળકીની સ્થિતિ દયનિય બની ગઈ છે.
અમદાવાદઃ ઓઢવ સોનીની ચાલી પાસે શુક્રવારે સવારે ખેલાયેલા ખૂની ખેલમાં બાપુનગરના યુવકે પોતાનાથી અલગ રહેતી પત્નિને ખંજરના ઉપરાછાપરી દસ ઘા ઝીંકી લોહીલૂહાણ કરી નાખી હતી. પત્ની પર ખૂની હુમલો કરીને યુવકે પોતે પણ એસિડ ગટગટાવી લીધું અને પોતાની જાતે જ ખંજરના ત્રણ ઘા ઝીંકી દીધા હતા.
કોઈ કાંઈ સમજે તે પહેલા શિલ્પાબહેન લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યાં હતાં જ્યારે કિરણ પરમારે ત્યાં જ એસિડ ગટગટાવી જાતે જ ખંજરના ત્રણ ઘા શરીર પર મારી દીધા હતા. લોહીલૂહાણ દંપતીને લોકોએ હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણભાઈનું મોત નિપજ્યું હતું.
શિલ્પાબહેને સોનીની ચાલી પાસેની ફેક્ટરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું. દરરોજની જેમ શુક્રવારે પણ શિલ્પાબહેને સવારે રિક્ષામાં નોકરીએ જવા નીકળ્યા હતા. સોનીની ચાલી પાસે પહેલેથી જ રાહ જોઈને ઉભેલા કિરણે તેમને રિક્ષામાંથી ઉતારી તકરાર કરી હતી અને ખંજર કાઢી આડેધડ દસ ઘા ઝીંકી દીધા હતા.
શિલ્પાબહેને પતિ વિરૂધ્ધ ફેમિલી કોર્ટ અને મેટ્રો કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ અને ભરણપોષણના બે અલગ અલગ કેસ કર્યા હતા. શિલ્પાબહેનનો આક્ષેપ છે કે, જમાઈ કિરણભાઈ મારઝૂડ કરતો હોવાથી પોતે સાસરે જતા ન હતા. પિયરમાં પણ તેમનો તથા દીકરીનો કોઈને ભાર ન પડે માટે તેમણે નોકરી કરવાનું શરૂ કર્યું હતું.
ઓઢવની જયકૃષ્ણ હરિવલ્લભ સોસાયટીમાં રહેતા શિલ્પાબેન રામજીભાઈ પરમાર (ઉં.૩૩)ના લગ્ન ૨૦૦૫માં બાપુનગરના કિરણભાઈ જયંતીભાઈ પરમાર સાથે થયા હતા. દામ્પત્ય જીવન દરમિયાન તેમને દીકરી જન્મી હતી. એ પછી પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતા શિલ્પાબહેન છ વર્ષ પહેલાં દીકરીને લઈને પિયરમાં આવી ગયા હતા.