અમદાવાદઃ જયભીમ યુવા સેનાએ બહુજન સાહિત્ય કાર્યક્રમનું કર્યું આયોજન
અમદાવાદઃ ડૉ બાબાસાહેબ આંબેડકરના 62મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે હાલમાં જ અમદાવાદમાં જયભીમ યુવા સેના દ્વારા બહુજન સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. બાબા સાહેબના મહાન જીવન ચરિત્ર, આદર્શો, અને કાર્યોનો મહિમા ગાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખાસ હાજર રહેલા જાણીતા સામાજીક કાર્યકર અને આગેવાન શ્રી 'હસમુખ સક્સેના'એ જણાવ્યું કે 'જયભીમ યુવા સેના' દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંશાને પાત્ર છે તેમજ આ પ્રકારના કાર્યક્રમો સામાજીક જાગૃતિ લાવવામાં મહત્વનો ફાળો આપે છે. આ કાર્યક્રમમાં જયભીમ યુવા સેના પ્રમુખ કમલેશ ધવલે જણાવ્યુ કે અમારા સંગઠન દ્વારા દર વર્ષે એક હજાર બાળકો ને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવે છે, તેમજ સમાજમાં અવેરનેસ બાબતે નવા નવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમનું સંચાલન જાણીતા બહુજન સાહિત્યકાર વિશન કાથડ અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમુદાયના લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.