આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે
મકરસંક્રાંતિ સાથે ધનુર્માસની પણ પૂર્ણાહૂતિ થશે. મકર સંક્રાંતિએ દાન-દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્વ છે. આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્વ છે. આ પ્રસંગે અમદાવાદના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે.
આ ઉપરાંત અમદાવાદની વિવિધ ક્લબોમાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને પોળોમાં મકરસંક્રાતિની ઉજવણીને લઈ લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે પવનની સ્પીડ પ્રતિ કલાક 5થી 10 કિમી રહેવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે પતંગ રસિયાઓએ આજે પતંગ ચગાવવા વધારે ઠુમકા નહીં મારવા પડે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિવસભર આકાશ આંશિક વાદળોથી છવાયેલુ રહેશે જેના કારણે વધારે તડકાનો પણ સામનો નહીં કરવો પડે.
બપોર બાદ પવનની દિશા બદલાવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હવે અમદાવાદીઓ માટે કોઇ પણ તહેવાર ઉજવવા રીવરફ્રન્ટ નવું 'હોટ સ્પોટ' બની ગયું છે. તેથી શાહીબાગથી લઇને એનઆઇડી પાલડી સુધીના રીવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં પતંગરસિયાઓ ઉમટી પડશે.