નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં ગુજરાત આવે ત્યારે ક્યાં કરશે રાત્રિ રોકાણ? જાણો કાર્યક્રમની નવી વિગતો
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સતત ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં ફરી એક વખત ગુજરાતનો પ્રવાસ ખેડવાના છે ત્યારે તે કચ્છની મુલાકાત લઈને દેશનાં તમામ રાજ્યોના રમતગમત પ્રધાનોનાં પરિવારોને મળે અને તેમની શિબિરને સંબોધે તેવી શક્યતા છે.
વડાપ્રધાનની હાજરીમાં અંતિમ દિવસે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોદીની યાત્રાને અનુલક્ષીને સલામતીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા અત્યારથી જ સુરક્ષાનાં પાસાં તપાસાઇ રહ્યાં છે અને ટૂંક સમયમાં જ કેન્દ્રની ટીમ પણ કચ્છ આવશે.
ગુજરાતના પ્રવાસન વિભાગના અધિકારી હૈદરે આ અંગેની કચ્છના વહીવટી તંત્રને સૂચના આપી છે. સેમિનારમાં 700 જેટલા ડેલિગેટસ હાજર રહેવાના હોવાથી કલેકટર તરફથી ધોરડોના તમામ ટેન્ટ, ભૂંગા અને ભીરંડિયારાથી ધોરડો સુધીના તમામ ખાનગી રિસોર્ટ પણ ત્રણ દિવસ સુધી રિઝર્વ રાખવાની સૂચના અપાઇ છે.
આ ઉપરાંત આશાપુરા ગ્રુપ ઓફ કંપની દ્વારા ભૂજોડી ખાતે તૈયાર થયેલી સંસદભવનની આબેહૂબ પ્રતિકૃતિને પણ ખુલ્લી મૂકે તેવી શક્યતા છે. વડાપ્રધાનની ધોરડો ખાતે 20, 21, 22 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી દેશના પ્રવાસન, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના તમામ રાજ્યોના પ્રધાનોની તેમના પરિવાર સાથે શિબિર યોજાશે.
મોદીની મુલાકાતને લઇને કચ્છના વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 20-21 જાન્યુઆરીએ મોદીનો કાર્યક્રમ ગોઠવાય એ રીતે હાલ તૈયારીઓ ચાલી રહી છે. તેઓ ભૂજ ખાતે ભૂજિયાની તળેટીમાં 150 કરોડના ખર્ચે ભૂકંપમાં મૃત્યુ પામનારાંઓની યાદમાં નિર્માણ પામતા સ્મૃતિ વનનું લોકાર્પણ કરે તેવી પણ સંભાવના છે.
મોદી 21 જાન્યુઆરીએ ખોડલધામના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. પાટીદારોને રીઝવવાના ભાજપના પ્રયાસોના ભાગરૂપે ખોડલધામના કાર્યક્રમમાં મોદીની હાજરીનો તખ્તો ગોઠવાયો છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કચ્છના ધોરડો ખાતે રાત્રિરોકાણ કરે તેવી શક્યતા છે.