ભડકાઉ ભાષણને લઈને ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ કોણ નોંધાવશે ફરિયાદ, જાણો વિગત
આ ઉપરાંત ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ સોમવારે અમદાવાદમાં સાયબર સેલમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. ઓબીસી એકતા મંચે માંગ કરી છે કે, માત્ર કોંગ્રેસીઓની જ ધરપકડ કેમ... ભાજપના નેતા, હોદ્દેદારોની ફેસબુક પર પરપ્રાંતીયો વિરુદ્ધ ભડકાઉ કોમેન્ટો કરી છે છતાં પણ પોલીસ કેમ અટકાયત કરતી નથી. પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે.
સૂત્રોના મતે, ભાજપના ધારાસભ્યોએ ખુલ્લેઆમ ભડકાઉ ભાષણો કર્યાં છે જેના પુરાવા પણ છે. આ પુરાવા આધારે કોંગ્રેસી નેતાઓએ કાયદાના નિષ્ણાંતો પાસે સલાહ લીધી હતી. આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે. માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ કેસો કરે તેવી શક્યતા છે.
એઆઈસીસીના પ્રવક્તા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે વીડિયો અને ફેસબુક સહિતના પુરાવા રજૂ કરી એવો આક્ષેપ કર્યો હતો કે, પરપ્રાંતીયો પર હુમલાએ ભાજપનું જ સુવ્યસ્થિત ષડયંત્ર છે. કેમ કે, ખુદ ભાજપના ધારાસભ્યો ખુલ્લેઆમ બિહાર, યુપીના લોકોનો વિરોધ કરી રહ્યાં છે. ભાજપના નેતાઓ ફેસબુક પર કોમેન્ટ કરી રહ્યાં છે કે, યુપીના કદવાઓને ગુજરાતની બહાર હાંકી કાઢો. પોલીસે અત્યાર સુધીમાં કેટલાંયની અટકાયત કરી છે.
અમદાવાદ: પરપ્રાંતીયો પર હુમલા થયા બાદ હવે માંડ મામલો થાળે પડ્યો છે ત્યારે વારાણસીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કેસ નોંધાયો છે. બીજી તરફ કોંગ્રેસ-ઓબીસી એકતા મંચ પણ ભાજપના નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા હવે તૈયારી કરી રહી છે.