‘લુબાન’ વાવાઝોડાની અસર ગુજરાત પર પડશે કે નહીં? જાણો વિગત

ભરૂચ: અરબી સમુદ્રમાં ઓમાનના કાંઠા વિસ્તારમાં ઉદભવેલા લુબાન નામના વાવાઝોડાને કારણે ભરૂચના દહેજ બંદર સહિત ગુજરાતના દરિયાકાંઠાના દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. દરિયામાં 70થી 80 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
દહેજ બંદરે 5 જેટલી ખાનગી જેટી કંપનીઓ આવેલી છે. જ્યારે દહેજ બંદરે હાલ 4 જહાલ લાંગરેલા છે. હાલ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શનિવારે 9.2 મીટરની ભરતી સવારે જોવા મળી હતી. 122 કિમીનો ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠો આવેલો છે. વાવઝોડાના કારણે 80 કિમીની ઝડપે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લાની હદમાંથી 122 કીમીનો દરિયા કિનારો આવેલો છે. હાલ દહેજ બંદર ખાતે દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. 70થી 80 કીમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી ભરૂચ, વાગરા અને હાંસોટના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.
લુબાન વાવાઝોડાના કારણે દરિયો તોફાની બનવાની શક્યતા રહેલી છે. દરિયામાં 15 ફૂટથી વધારે ઉંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે.
ઓમાનના કાંઠા વિસ્તારમાં લુબાન નામના વાવાઝોડાના કારણે ગુજરાતના બંદરોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ભરૂચના દહેજ બંદરે કેમિકલ અને ગેસની હેરાફેરી કરતાં જહાજોની અવરજવર રહેતી હોય છે.