ગાંધીનગરઃ પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ, જાણો શરૂઆત ક્યાંથી કરાઇ?
ગાંધીનગરઃ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પછી હવે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. મોટા બાવન કડવા પાટીદાર સમાજે અન્ય પછાતવર્ગો માટેના પંચ સમક્ષ રજૂઆત કરી છે.
મોટા બાવન કડવા પાટીદાર સમાજના પ્રમુખ એ. કે. પટેલે પંચ સમક્ષ કરી રજૂઆત કરી છે. આ રજૂઆતના પગલે ઓબીસી કમિશને કાર્યવાહી હાથ ધરી છે. આ જ્ઞાતિના લોકો જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના આગેવાનોને જરૂરી માહિતી સાથે 15 દિવસમાં પંચનો સંપર્ક સાધવા જણાવાયું છે.
પંચે રાજ્યના ટોચના અખબારોમાં જાહેર ખબર આપીને મહેસાણા જિલ્લાના વિસનગર, ઉંઝા, મહેસાણા, વડનગર સિવાયના અન્ય ગામ, શહેર કે જિલ્લાઓમાં વસવાટ કરતાં મોટા બાવન કડવા પાટીદાર સમાજના લોકોને પણ તેમની રજૂઆત ગાંધીનગર ખાતે ઓબીસી પંચ સમક્ષ 15 દિવસમાં કરવા જણાવાયું છે.
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજના પ્રમુખ એ.કે. પટેલે કરેલી રજૂઆત પ્રમાણે મોટા બાવન કડવા પાટીદાર સમાજના લોકો મહેસાણા જિલ્લાના વિસનગર, ઉંઝા, મહેસાણા, વડનગરમાં રહે છે. આ રજૂઆત કરનાર સંસ્થાનું મુખ્ય મથક કાંસા ચાર રસ્તા, વિસનગર ખાતે છે.
પંચના સંપર્ક દરમિયાન તેમણે બે બાબતો અંગે રજૂઆત કરવાની રહેશે. પહેલી બાબત અન્ય પછાત વર્ગો(ઓબીસી)માં દાખલ થવાની તેમની ઇચ્છા છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું રહેશે. બીજી બાબત જે તે ગામમાં પાટીદાર સમાજના લોકોની ચોક્કસ સંખ્યા અંગે રજૂઆત કરવાની રહેશે.
અન્ય પછાત વર્ગોમાં દાખલ થવાની તેમની ઈચ્છા અને ગામોમાં તે જ્ઞાતિની વસ્તી સહિતની વિગતો રજૂ કરવા જણાવાયું છે. પંચે મોટા બાવન કડવા પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે, તેઓ પોતાના ગામમાં પાટીદારોની વસ્તી અંગે પંચનો સંપર્ક કરે.