અમદાવાદને ભડકે બાળવાનું કાવતરું સાણંદમાં ઘડાયું, જાણો કોની કોની સામે થઈ ફરિયાદ?

પોલીસ બંદોબસ્તમાં 200થી વધુ લોકોએ સેટેલાઇટથી આ માર્ચ શરૂ કરી હતી પરંતુ થોડા સમયમાં બે હજાર લોકો આ રેલીમાં જોડાયા હતા અને ભીડ બેકાબૂ બની ગઇ હતી. ટોળાએ અનેક થિયેટર્સમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા હતા. હિમાલયા મોલ, ગુલમહોર, આલ્ફા વન, એક્રોપોલિસ મોલ સહિતના અનેક મોલમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા હતા.
પોલીસ ફરિયાદમાં સમગ્ર ઘટનાને કઇ રીતે અંજામ અપાયો તેની જાણકારી આપવામાં આવી છે. પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરમાં શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજવાની યોજના બનાવાઇ હતી. આ માટે સુરેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ રહેવર નામની વ્યક્તિઓએ પોલીસ પાસે કેન્ડલ માર્ચની પરમિશન લેવા ગયા હતા. અગાઉ પોલીસે આ મામલે પરમિશન આપવાની ના પાડી હતી પરંતુ માર્ચ કાઢવા માટે તેઓ શાંતિથી સમગ્ર રેલીની માંગણી કરતા આખરે તેમને પરમિશન મળી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, આરોપીઓએ સાણંદમાં ગુપ્ત બેઠક કરીને અમદાવાદમાં તોફાન મચાવવાનો પ્લાન ઘડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાણંદમાં બપોરે જ નક્કી થઇ ગયું હતું કે અમદાવાદના થિયેટરોને આંગ ચાંપીને સળગાવી દેવાના છે.
અમદાવાદ: ફિલ્મ પદ્માવતની રીલિઝના વિરોધમાં મંગળવારે તોફાન મચાવનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મોલમાં તોડફોડ કરનારા અને લોકોના વાહનો સળગાવનારા 56 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે ફિલ્મના વિરોધમાં નીકળેલી કેન્ડલ માર્ચ બાદ અચાનક તોફાન ફાટી નીકળ્યા હતા. ટોળાએ અમદાવાદના અનેક થિયેટરમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી.