પરસોત્તમ રૂપાલા-દિલીપ સંઘાણીને હરાવનારા પરેશ ધાનાણી ભાજપના ક્યા નેતા સામે હારી ગયા હતા ? જાણો વિગત
આ નેતાઓ જીતી શકતા નહોતા ને કોંગ્રેસને જીતાડી પણ શકતા નહોતા. તેમના સ્થાને છેલ્લી બે ચૂંટણીથી સતત જીતતા અને પોતાના વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરીને અમરેલી જિલ્લાની તમામ બેઠકો જીતાડનારા પરેશ ધાનાણીને મૂકીને કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, હવે જે જીતી શકે છે તેને જ કોંગ્રેસમાં મહત્વ મળશે.
કોંગ્રેસે ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરી એ સાથે જ કોંગ્રેસમાં યુવા નેતૃત્વનો ઉદય થયો છે. કોંગ્રેસ છેલ્લાં કેટલાંક વરસોથી શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ જેવાનેતાઓની પકડમાં જ હતી.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે રાત્રે 7 વાગ્યે દિલ્હીમાં ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
પરેશ ધાનાણી 2002ની જીત પછી 2007માં દિલીપ સંઘાણી સામે માત્ર 4000 મતે હારી ગયેલા. વિધાનસભાની ચૂંટણીમાં આ તેમની એક માત્ર હાર છે. જો કે તેમણે 2012માં સંઘાણીને 29 હજાર મતે હરાવીને તેમણે બદલો લીધો અને ભવ્ય પુનરાગમન કર્યું. આ વખતે તેમણે બાવકુભાઈ ઉંધાડ જેવા ધરખમ નેતાને હાર આપીને જીત મેળવી છે.
પરેશ ધાનાણીએ 2002માં ભાજપના ધુરંધર નેતા પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. પરેશ ધાનાણી અત્યાર સુધીમાં અમરેલીમાંથી ચાર વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા છે ને તેમાંથી ત્રણ વાર જીત્યા છે. આ ત્રણેય જીત તેમણે ભાજપના ધરખમ પાટીદાર નેતાઓ સામે મેળવી છે.
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દી યશસ્વી રહી છે. પરેશ ધાનાણી આ ત્રીજી વાર ધારાસભ્યપદે ચૂંટાયા છે અ દરેક વાર તેમણે જોરદાર મુકાબલાનો સામનો કરવો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપના વર્ચસ્વના દિવસોમાં સામા પ્રવાહે તરીને તેમણે પોતાનું રાજકીય વજન ઉભું કર્યું છે.