હાર્દિક ગુજરાત ના આવે એટલે રાજસ્થાનમાં જ જેલમાં ધકેલવાનો તખ્તો તૈયાર ? જાણો ક્યો કેસ ઉખેળાયો ?
હાર્દિકને રાજદ્રોહના કેસમાં જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી હતી. તેના કારણે હાર્દિકે ઉદયપુરમાં રહેવાનું નક્કી કર્યું હતું. હાર્દિકની છ મહિનાની મુદત 16 જાન્યુઆરીએ પૂરી થાય છે તેથી તે 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પ્રવેશવાની યોજના બનાવી ચૂક્યો છે.
હાર્દિક પટેલે પોતે આ આક્ષેપ કર્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે હાર્દિકે આ આક્ષેપ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હાર્દિક રાજસ્થાન આવ્યો એ વખતે થયેલા કેસની કાર્યવાહી પોલીસે છેક છ મહિના પછી શરૂ કરી હાર્દિકને સમન્સ પાઠવતાં હાર્દિકે આક્ષેપ કર્યો છે.
આ સમન્સના પગલે 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસે હાર્દિકને દેલવાડા પોલીસમાં હાજર થવા સમન્સ પાઠવાયું હતું. હાર્દિક પોતે આ કેસમાં નિવેદન આપવા માટે હાજર થઈ ગયો પણ પોલીસે આ કેસમાં બીજા આરોપીઓનાં નિવેદન નોંધવાની કોઈ કાર્યવાહી નથી કરી.
ઉદયપુરઃ પાટીદાર અનમાત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલનું ગુજરાતમાં 17 જાન્યુઆરીએ આગમન થવાનું છે ત્યારે તેના ભવ્ય સ્વાગતની તૈયારીમાં પાટીદારો લાગી ગયા છે. બીજી તરફ રાજસ્થાન સરકાર હાર્દિકને જેલભેગો કરીને ગુજરાતમાં નહીં આવવા દેવાની તૈયારીમાં લાગી છે.
હાર્દિક પટેલે દેલવાડા ટોલ બૂથ પર કર્મચારીને ધમકી આપી હોવાનો કેસ પોલીસે નોંધ્યો હતો. દેલવાડા પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તે રાજસ્થાન આવતો હતો ત્યારે કારના કાચ બંધ હતા તેથી બહાર શું બન્યું તે તેને ખબર નથી. ટોલ બૂથ પર શું થયું તેની તેને જાણ નથી.
પોલીસના આ વલણના પગલે હાર્દિકે આક્ષેપ કર્યો કે પોલીસ તેને જેલમાં ધકેલીને ગુજરાતમાં જતો રોકવા માગે છે. પોલીસ બીજા આરોપીઓનાં નિવેદન લેવામાં વિલંબ કરી રહી છે તે જોતાં આ કેસમાં તપાસ બાકી છે તે બહાના હેઠળ પોલીસ હાર્દિકને ઉદયપુરની બહાર જતો રોકી શકે છે.
હાર્દિક સામેનો આ કેસ છ મહિના જૂનો છે પણ પોલીસે આ કેસમાં અત્યાર લગી કોઈ કાર્યવાહી નહોતી કરી. 13 જાન્યુઆરી ને શુક્રવારે રાત્રે 9 કલાકે અચાનક જ હાર્દિકને સમન્સ પાઠવીને દેલવાડા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટેનું ફરમાન કરાયું તેના કારણે આશ્ચર્ય સર્જાયું હતું.