હાર્દિકનો સવાલઃ એક વાત નથી સમજાતી કે કેસો પાછા ખેંચાયાની વાત છે તો વોરંટ કેમ નિકળ્યું ?
રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો તે અંગે નિયમ પ્રમાણે કોર્ટને પણ જાણ કરી દેવામાં આવી હોત, પણ તેવું થયુ નથી. જેના કારણે વિસનગરમાં તોડફોડના કેસમાં છેલ્લી ત્રણ મુદતથી ગેરહાજર રહેનાર હાર્દિક અને લાલજી સામે વોંરટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
એક તરફ ભાજપ સરકાર દાવો કરી રહી છે પાટીદારો સામે નોંધાયેલા તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પણ હાર્દિક સામેના સામાન્ય કેસ પણ પાછા નથી ખેંચાયા તેથી ભાજપના દાવા ખોખલા સાબીત થઈ રહ્યા છે. ભાજપ હાર્દિક પર દબાણ પેદા કરવા તેની સામેના કેસ પાછા નથી ખેંચતી તે પણ સાબિત થયું છે.
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બીનજામીન લાયક વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ વોરંટ પછી હાર્દિક પટેલ ગુરૂવારે વિસનગર કોર્ટમાં હાજર થઈ જતાં કોર્ટે તેને જામીન આપી દીધા છે અને તેની સામેનું બિનજામીનપાત્ર વોરંટ પણ રદ કરી દીધું છે.
વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના હાર્દિક પટેલ તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ સામે કેસ નોંધાયો છે. આ કેસમાં સળંગ ત્રણ મુદતથી હાર્દિક તથા લાલજી પટેલ હાજર ના રહ્યા હોવાથી તેમની સામે કોર્ટે વોરંટ બહાર પાડ્યું હતું.
આ વોરંટના પગલે હાર્દિક વીસનગર પહોંચ્યો હતો. વીસનગરથી તેણે ટ્વિટ કરીને ભાજપ સરકારના ઈરાદા સામે સવાલ ઉઠાવ્યા હતા. હાર્દિકે તેની ટ્વિટમાં લખ્યું છે કે, વિસનગર કોર્ટમાં આવ્યો છું. ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે પણ એક વાત નથી સમજાતી કે કેસો પાછા ખેંચાયાની વાત છે તો વોરંટ કેમ નિકળ્યું ?