અશોક ગેહલોતની જગ્યાએ કોને બનાવાયા ગુજરાત કોંગ્રેસના પ્રભારી? જાણો વિગત
અમદાવાદઃ અશોક ગેહલોતને સ્થાને રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્સ્થાન વિધાનસભાની ચૂંટણીને લીધે ગેહલોત વ્યસ્ત બનતાં હાઇકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંગઠનને મજબૂત બનાવવામાં સાતવ માહિર છે. યુવાઓને સાથે રાખીને ચૂંટણીમાં ય તેમણે ઘણી સારી કામગીરી બજાવી છે. સૌરાષ્ટ્રમાં તેમના વડપણ હેઠળ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેના પગલે લોકસભાની ચૂંટણીને જોતાં રાજીવ સાતવને પ્રભારી બનાવવા નક્કી કરાયું છે.
સિનિયર ધારાસભ્યોને કોરાણે મૂકીને યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવાયા હતાં. હવે અમિત ચાવડાને પક્ષ પ્રમુખ બનાવાયા છે જેના પગલે સિનિયર નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દેવાયો છે. અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષ વતી મુખ્યમંત્રીના દાવેદાર ગણાય છે. ગેહલોત રાજસ્થાનમાં પણ ચૂંટણીની બાગડોર સંભાળવાના છે જેના પગલે હાઇકમાન્ડે આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, રાહુલ ગાંધી હવે ગુજરાતના સુશુપ્ત અવસ્થામાં રહેલાં કોંગ્રેસ સંગઠનમાં યુવાઓને સ્થાન આપી ચેતનવંતુ કરવા માંગે છે. યુવા ધારાસભ્ય અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસની બાગડોર આપ્યા બાદ હવે યુવા સાંસદ અને સહપ્રભારી રાજીવ સાતવને અશોક ગેહલોતના સ્થાને ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણી વખતે ખુદ રાષ્ટીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતને ખૂંદીને ભરપૂર પ્રચાર કર્યો હતો તે વખતે જ કોંગ્રેસના માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની નજીકથી કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત પક્ષ પ્રત્યેનો તેમનો બનાવટી લગાવ જોયો હતો. તે વખતે રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનની કાયાપલટ કરવા નક્કી કર્યુ હતુ.