ઊંઝામાં પોતાની ટિકિટ કપાતા નારાયણ પટેલે કોના માટે કરી ટિકિટની માંગ? કોને લખ્યો પત્ર?
ઊંઝાથી ભાજપના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલે અમિત શાહની મુલાકાત કરી હતી અને પોતના કપાતી ટિકિટની બાજી સંભાળતાં અમિત શાહને પોતાના નજીકના લોકોને ટિકીટ મળે તે માટે મોટી ગેમ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદઃ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 74 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ ન આપવાનું વલણ અપનાવાયું છે, જેને કારણે કેટલાય વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ રહી છે. ઊંઝાના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલ પણ આમાના એક ધારાસભ્ય છે. તેમની ટિકિટ કપાય છે, ત્યારે તેમણે અમિત શાહને પત્ર લખીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.
ઊંઝામાં ભાજપના ઉમેદવારને લઈને અમિત શાહને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં સ્થાનિક અને સિક્ષણ લાયકાત ધરાવતા યુવાન ઉમેદવાર પસંદગી માટેની માંગ કરાઈ છે. પત્રમાં ઊંઝાના ધારાસભ્ય નારણભાઈ પટેલની સહી સાથે પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ અને જિલ્લાના મોટા ભાજપ હોદેદારની સહીઓ છે. આ પત્રને લઈ અનેક તકવિતર્ક શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, સુરત કલેક્ટર મહેન્દ્ર સોમાભાઈ પટેલે પણ ઊંઝાથી ભાજપની ટિકિટની માંગણી કરી છે. નારાયણ કાકા અને સમર્થકો દ્વારા લખાયેલ આ પત્રથી સુરત કલેક્ટરને ટિકિટ ના મળે તેવી શક્યતાં છે. સુરત કલેક્ટરની સાથે વિશ્વ ઉમિયા ફાઉંડેશનના આરપી પટેલની ટિકિટ માંગણી પર પાણી ફરી વળ્યું છે.
નારાયણ કાકા ટિકિટની રેસથી પોતે બહાર નીકળી ગયા છે, ત્યારે ઊંઝામાં સ્થાનિક અને વરિષ્ઠ કાર્યકરને ટિકિટ આપવા માટે માંગ કરવામાં આવી છે. ઊંઝા ભાજપ મોવડી મંડળના વીસ વરિષ્ઠ કાર્યકરોની સહી સાથે પત્ર લખીને સ્થાનિકને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે.