અમદાવાદ: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે અષાઢી પૂર્ણિમાથી ભાદરવી પૂર્ણિમા દરમિયાન રચનાત્મક ગૌસેવા મહાભિયાન શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાનાં સંસ્થાપક પરમ શ્રધ્યેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજજીના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ ગૌમંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સૌપ્રથમવાર 16 થી 22 ઓગસ્ટ દરમિયાન “શ્રી ગૌભક્તમાલ કથા” અને 18 થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સોલા ભાગવત મંદિર ખાતે વિશેષ જન્માષ્ટમી પર્વ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી ભાગવત ઋષિએ જણાવ્યું કે ગૌલોકવાસી પ્રેમ ભાગવત  કુષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી) દ્વારા સ્થાપિત શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુજરાતી ઉક્તિ સબ ભૂમિ ગોપાલ કી એટલે કે જે ભૂમિ પર સ્વયં ગૌપાલક ભગવાન દ્વારકાધીશે આવીને નિવાસ કર્યો છે. આવા ગૌપ્રેમી ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ વેદલક્ષણા ગૌવંશના સંરક્ષણ, સંપોષણ, સવધર્ન, પંચગવ્ય વિનિયોગ અને ગૌઆધારિત ઋષિ પુનઃ સ્થાપનાના સંકલ્પ સાથે પરમ શ્રધ્ધેય ગૌઋષી સ્વામી દત્તશરણાનંદજી મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય ગૌવત્સ રાધાકૃષ્ણજી મહારાજના શ્રીમુખેથી ‘શ્રી ગૌભક્તમાલ કથા’નું આયોજન 16 થી 22 ઓગસ્ટ બપોરે 2 થી 5 દરમિયાન કરવામાં આવ્યું છે. તેમજ 18 થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.


નંદ મહોત્સવ સહિત ઉજવાશે આ તહેવારો


ભાગવત ઋષિએ વધુમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય ગૌઉપાસક ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજનો 26 થી 30 ઓગસ્ટ દરમિયાન બપોરે 2 થી 5 કલાક શ્રી વેદલક્ષણા ગૌમહિમા સત્સંગ યોજાશે. ચાતુર્માસ ગૌમંગળ મહોત્સવના સર્વકલ્યાણકારી ઉત્સવોમાં 19 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ-નંદ મહોત્સવ, 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ, 4 સપ્ટેમ્બરે રાધા અષ્ટમી ઉત્સવ, ૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી ઉત્સવ અને ચાતુર્માસ સમાપન સમારોહ ભાગવત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં યોજાશે.


ભાટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ’નું આયોજન


બ્રહ્મચારી મુકુન્દપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, તા. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ભાટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગૌ નવરાત્રી યોજાશે. આ આયોજનના ભાગરૂપે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા ભાગવત વિદ્યાપીઠ ખાતે ‘શ્રી ગૌભક્તમાલ કથા’નું આયોજન 16 થી 22 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.


 મુકુન્દપ્રસાજી મહારાજે વધુમાં જણાવ્યું કે, ગૌમાતાના પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌ-મૂત્ર)ના ઉપયોગથી પ્રાચીન સમયમાં જેમ ઋષિ મુનિઓ નિરોગી રહેતા હતાં અને તેમના સાત્વિક વિચારો દ્વારા ઉચ્ચ સમાજનું નિર્માણ કરતાં હતાં, તેમ એ જ પંચગવ્ય વર્તમાન સમયમાં દરેક સામાન્ય માણસને ઉપયોગી બને છે. ગૌભક્તમાલ કથામાં વૈદિક કાળથી અત્યાર સુધીમાં જેટલા પણ ગૌ ભક્તો થઈ ગયા તેઓએ તેમના સમયમાં ગૌમાતાની કરેલી સેવાનું રસપાન કરવાનું હોય છે.


અનંતકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજે 19 ઓગસ્ટને જન્માષ્ટમીના રોજ ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાનાર ‘નંદ મહોત્સવ’ની માહિતી આપતાં જણાવ્યું, સવારે 6:30 કલાકે મંગલા આરતી બાદ 7 કલાકે શ્રીજીને પંચામૃત સ્નાન, 9 કલાકે શ્રૃંગાર, 11 કલાકે રાજભોગ, સાંજે 5:30 કલાકે ભોગ, 7 કલાકે શયનના દશર્ન યોજાશે. જ્યારે 8:30 થી 11:45 દરમિયાન નંદ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રીના 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવના દર્શન યોજાશે.