Basant Panchami 2024: વસંત પંચમીનો દિવસ લગ્ન માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે કારણ કે આ દિવસે વણજોયું મુહૂર્ત હોય છે. એટલે કે આ દિવસે લગ્ન, મુંડન જેવા શુભ કાર્યો ગમે ત્યારે કરી શકાય છે. દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ છે.


હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસ લગ્ન માટે શુભ છે. એવું કહેવાય છે કે જે લોકોના લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તેમના લગ્ન વસંત પંચમીના દિવસે થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે આખો દિવસ કોઈ દોષ નથી રહેતો અને ઉત્તમ યોગ છે. આ તિથિએ ખૂબ જ શુભ રવિ યોગ રચાય છે.


લગ્ન માટે વસંત પંચમીનો દિવસ કેમ માનવામાં આવે છે શુભ?


શાસ્ત્રો અનુસાર, વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો તિલકોત્સવ થયો અને તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ. આ જ કારણ છે કે લગ્ન માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે.




વસંત પંચમી અને વેલેન્ટાઈન ડેનો દુર્લભ સંયોગ


આ વર્ષે વસંત પંચમીના તહેવારની સાથે વેલેન્ટાઈન ડેની પણ ઉજવણી કરવામાં આવશે. વસંત પંચમી અને વેલેન્ટાઈન ડેનો સંબંધ પ્રેમ સાથે છે અને આવી સ્થિતિમાં બંનેની ઉજવણી એક જ દિવસે કરવી એ ખૂબ જ દુર્લભ સંયોગ છે. આ સંયોગ લગભગ 57 વર્ષ પછી બની રહ્યો છે. વસંત પંચમી એ શિક્ષણ, પ્રેમ, જ્ઞાન અને કલાનું પ્રતિક છે અને દરેક વ્યક્તિ જાણે છે કે વેલેન્ટાઈન ડે પર લોકો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં પ્રેમીઓ માટે એક જ દિવસે વેલેન્ટાઈન ડે અને વસંત પંચમીની ઉજવણી કરવી ખૂબ જ ખાસ છે.


પંચાંગ અનુસાર, 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની પૂજાનો શુભ સમય સવારે 7:01 થી બપોરે 12:35 સુધી રહેશે. વસંત પંચમીનો શુભ સમય 5 કલાક 35 મિનિટનો છે. એવું કહેવાય છે કે જે લોકો વસંત પંચમીના દિવસે લગ્ન કરે છે તેમને તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે અને આ સંબંધ 7 જન્મો સુધી ચાલે છે.