પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે ભગવના શંકરની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.  શિવ મંદિરોમાં ભક્તો ભગવાની શિવની પૂજા અર્ચના કરે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર પર લોકો દર્શન કરવા ઉમટી પડે છે. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન માટે  પહોંચી જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં ચાર સોમવાર - 21, 28 ઓગસ્ટ અને 4, 11 સપ્ટેમ્બરે મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે.  


શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે


માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.  જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા. શ્રાવણ  મહિનામાં શિવલિંગના જળાભિષેક અને રૂદ્રાભિષેકનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે.


શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ


શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવામાં આવે છે, પરંતુ શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ છે. શાસ્ત્રોમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.


ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો


શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. ભોળાનાથનો રુદ્રાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. બાદમાં શિવલિંગ પર બિલિપત્ર, ભાંગ, ધતુરા અને શમીપત્ર ચઢાવો. ભગવાન શિવને ફળ અને ફૂલ અર્પણ કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો. બીજી તરફ, વિવાહિત મહિલાઓ શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખે છે અને મા પાર્વતીને સોળ શણગાર અર્પણ કરીને તેમના પતિ અને પરિવારના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial