લેખકઃ જાણીતા જ્યોતિષ ચેતન પટેલ


વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ  અને મહિમા જાણી ગણેશજીને રિઝવવા આ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને ગણેશજીની પૂજા કરવામાં આવશે તો તેઓ જરૂર પ્રસન્ન થશે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. 7 સપ્ટેમ્બરે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સાંજે 5.37 મિનિટ સુધી જ રહેશે.


 શુભ મુહર્ત


સવારે 7-58થી બપોરે 9-31 મિનિટ


બપોરે 12:37 થી 2-10 સુધી તેમજ


સાંજે 3-43 થી 5-17


ગણેશ પર્વ 10 દિવસ ઉજવાશે અને અનંત ચૌદશ 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરાશે. આમ 10 દિવસ  ગણેશજીની પૂજા અર્ચના થશે અને પછી આશીર્વાદ લઈ તેમની વિદાય થશે. સત્યયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે માતા પાર્વતી દ્વારા થયું હતું. ગણેશ મહોત્સવમાં પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.


આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજા અર્ચના કરે છે તેમના તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે. બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.


ગણેશજીનું પ્રાગટ્ય માતા પાર્વતીએ આ દિવસે પોતાના શરીરના મેલ, કાચી માટી અને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા મંત્ર દ્વારા કર્યું હતું.  ભગવાન ગણેશનું પ્રથમ નામ વિનાયક હતું.


કહેવાય છે કે યોગાનું યોગ આજ દિવસે વિનાયકને  ભગવાન શિવે હાથીનું મસ્તક લગાવી સજીવન કર્યા હતા અને ગણેશ નામ અપાયું હતું.


ગણેશ ચતુર્થીથી ચૌદશ સુધી ૧૦ દિવસ  ગણેશજીએ  મહાભારત ગ્રંથની રચના વેદવ્યાસજી સાથે કરી હતી. તેથી ગણેશ ઉત્સવ મનાવાય છે. શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થી એ માટીના ગણપતિની સ્થાપના કરવાનો જ સાચો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે.


ગણેશ પરિવાર


પિતા- ભગવાન શિવ


માતા- ભગવતી ઉમા


ભાઈ- ભગવાન કાર્તિકેય


બહેન- ઓખા


પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ


પુત્ર-  ૧. શુભ ૨. લાભ


ગણેશ જીની પત્ની કોણ હતા ?


શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજીની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ ગણેશજીની પત્નીઓ છે.  સિદ્ધિએ લાભને અને રિદ્ધિએ શુભને જન્મ આપ્યો હતો.


ગણેશ પૂજાની સામગ્રી            


પ્રિય પ્રસાદ  (મિષ્ઠાન્ન)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ


પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ, ગુલાબ, હજારીગલના ગલગોટા


પ્રિય વનસ્પતિ - દુર્વા - ધરો શમી-પત્ર


ગણેશ પૂજનમાં તુલસીનો ઉપયોગ ના કરવો.


ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ  મિશ્રિત જળથી સ્નાન ખૂબ પ્રિય છે. ગણેશ સ્થાપન પાસે જળ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે.


ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે.


ગણેશજીના અસ્ત્ર- પાશ, અંકુશ,અને પરશુ છે.


 ગણેશજીના અન્ય શણગારમાં શંખ, કમળ, પુષ્પ, ચક્ર, ગદા અને નાગ છે.


ઉપરોક્ત સામગ્રીઓથી આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના સંકટ દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે. ગણેશજીના કલ્યાણકારી ૧૨ નામ રૂપી મંત્ર જાપ નિત્ય કરવાથી વિઘ્નો દૂર રહે છે.


ભગવાન ગણેશનું વાહન એકલો ઉંદર નથી મયુર અને સિંહ પણ છે. આ અંગે ગણેશપુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે તે  વિશે ગણેશ પુરાણની રોચક વાતો જણાવતા જાણીતા જ્યોતિષ ચેતનભાઇ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને પણ ગણેશજીનું વાહન જણાવાયાં છે. કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે.


આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે  ગણેશજી દરેક યુગમાં અવતરિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળિયુગમાં પણ ગણેશજી અવતાર લેવાના છે.


* સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા. સતયુગમાં તેમનું નામ વિનાયક હતું.


* ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું. તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા. ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે.


* દ્વાપરયુગમાં ગણેશજીનું વાહન મૂષક હતું  તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાળા હતા તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા.


પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ  હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો હશે તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે. કળિયુગમાંથી અવતારનો સાથ આપવા અવતાર લેવાના છે અને તેમના અવતાર બાદ કળિયુગ  સમાપ્ત થશે અને ફરી સતયુગ આવશે.