પાટણ: મંદિર તો આપણે અનેક જોયા હશે પરંતુ અમે આપણને જે મંદિર બતાવવા જઈ રહ્યા છીએ તે મંદિર સમગ્ર વિશ્વમાં અનોખું અને અનોખી સેવા પૂરી પાડતું છે, આવું અનોખું મંદિર એ પાટણ શહેરમાં આવેલું છે. મંદિરોના અનેક ઇતિહાસ અને અનેક વૈભવ આપડે જોયા હશે પરંતુ અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. તો શું છે આ રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ અને કેમ લોકો ચડાવી રહ્યા છે મોટા પ્રમાણમાં રોટલી તેમજ રોટલા આવો જાણીએ.


પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિરએ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે  સિંદૂર કે વડા ચઢતા હોય છે પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. 
વાત જાણીને આશ્ચર્ય થશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ અહીં ચડતો નથી. પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગીની ઠારી રહ્યા છે.


મંદિરે દર્શને આવતા ભક્તો રોટલીયા હનુમાન દાદાને ચડાવવા રોટલા કે રોટલીઓ ઘરેથી અવશ્ય લેતા આવે છે એમાં પણ ગુરૂવાર તેમજ શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે તેમજ મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. સાથે સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.


શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચડાવે છે. રોટલા તેમજ રોટલી ભગવાનને ચડાવે તેવા જ નીચે ગર્ભ ગૃહમાં રોટલા રોટલી જતા રહે છે અને એક મોટા વાસણમાં ઉપર મંદિરથી ચડાવવામાં આવેલા રોટલા રોટલી નીચેના માળે ભેગા થાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય અબોલ જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે બાધા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા પ્રસાદ સ્વરૂપે રોટલા કે રોટલી હનુમાન દાદાને ચડાવે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે અહીં દર્શને આવતા કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી આવતું હાથમાં રોટલી કે રોટલાનો પ્રસાદ અવશ્ય લેતા આવે છે.