Ambaji Temple: યાત્રાધામ અંબાજીમાં રૂ. 1200 કરોડના ખર્ચે શક્તિપથ બનશે. જે મુખ્ય મંદિરમાં રહેલા વિશા યંત્ર અને ગબ્બર પર રહેલી સતીનાં હૃદયનાં સ્થાન એવી જ્યોતને જોડશે. અઢી કિમી લાંબા આ કોરિડોરના રૂટ પર દિવ્યદર્શિની ચોક, પાર્કિંગ, એમેનિટિઝ બ્લોક, ટૂરિસ્ટ ફેસિલિટી, રોપવે ટર્મિનલ, સતી સરોવર, સતી ઘાટ, EV સ્ટોપ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ હશે. આ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિશા યંત્રના દર્શન કરી ચાચરચોકથી જ સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. અઢી કિમીના આ કોરિડોર પર પગપાળા અને વાહન એમ બન્ને રીતે જઈ શકાશે. આ પ્રોજેક્ટથી મંદિર પ્રાંગણ ત્રણ ગણું અને ગબ્બર પરિસરનું બમણું વિસ્તરણ થશે. આ પ્રોજેક્ટનાં કામ 3 તબક્કામાં થશે.



પ્રથમ તબક્કામાં થનાર કામ



  • ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે

  • અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે

  • દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે

  • નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો થશે

  • પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે

  • સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે


બીજા તબક્કામાં આ કામ થશે



  • એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો તૈયાર થશે

  • ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરાશે

  • ગબ્બર અરાઈવલ પ્લાઝા બનશે

  • ગબ્બર મંદિરનું વિસ્તરણ કરાશે

  • મલ્ટિલેવલ કાર પાર્કિંગ બનશે

  • ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ 




ત્રીજા તબક્કાનાં કામ



  • સતી સરોવર અને સતી ઘાટ બનશે

  • ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે (પાર્કિંગની સુવિધા વધશે)

  • ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે

  • વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ

  • શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ

  • માનસરોવરનો વિસ્તાર વધારાશે



યાત્રીઓના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ અંબાજી ચોક બનશે. આ કોરિડોર પર સૌથી પહેલાં દિવ્યદર્શિની ચોક આવશે, જ્યાં આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે. યાત્રીઓ ખરીદી કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે આ કોરિડોર પર રિટેઈલ સ્ટ્રીટ પણ બનશે. સતી સરોવરથી આગળ આ મેદાનમાં 120 મીટર પહોળો ઈવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ બનશે. શક્તિપથ અંતર્ગત વિશા યંત્ર મંદિર અને ગબ્બર સાથે માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવશે.





સિદ્ધપુરની પારંપરિક અને પૌરાણિક વાસ્તુકલા શૈલી પ્રમાણે મંદિર પરિસરનો વિકાસ થશે. PM મોદીનાં માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ થઈ ચૂક્યું છે. તેમણે કેટલાંક સૂચનો આપ્યાં છે તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે. અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક રહે નહીં તેની ખાસ તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી ઓક્ટોબરથી આ પ્રોજેક્ટનુ કામ શરૂ થશે, જે વર્ષ 2027 સુધીમાં પૂરું કરવાની યોજના છે.