ઓડિશાનું પુરી મંદિર તેના રહસ્યો અને ચમત્કારોના કારણે ચર્ચામાં રહે છે. પુરી મંદિરની જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) વિશ્વ પ્રસિદ્ધ છે. જે દર વર્ષે અષાઢ મહિનામાં શરૂ થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તારીખથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ-અલગ રથ પર સવાર થઈને શહેરમાં ફરવા જાય છે અને તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જાય છે.


પુરી, ઓડિશા, ભારતમાં સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Temple) પરંપરાગત રીતે અનાવસર અથવા અનાસાર સમયગાળા દરમિયાન દર વર્ષે 15 દિવસ માટે બંધ રહે છે. આ 15 દિવસ પછી રથ મહોત્સવ અથવા રથયાત્રા કાઢવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જગન્નાથ રથયાત્રામાં ભાગ લેનાર લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે 'બ્રહ્માંડનો ભગવાન'. જગન્નાથજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. દર વર્ષે ઓડિશાના પુરી શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારના દિવસે મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રાનો સમાવેશ થાય છે.


જગન્નાથ યાત્રા ક્યારે થશે શરૂ? (Jagannath Rath Yatra 2024)


હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 7 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થઈ રહી છે. દ્વિતિયા તિથિ 8 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:59 વાગ્યે સમાપ્ત થશે, તેથી ઉદયા તિથિ અનુસાર, જગન્નાથ રથયાત્રા 2024 માં 7 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.


દર વર્ષે કેમ યોજાઇ છે રથયાત્રા


જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેને તાવ આવે છે. આ કારણથી ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી શયનખંડમાં માં આરામ કરે છે. આ સમયગાળા દરમિયાન, પુરી મંદિર 15 દિવસ માટે બંધ રહે છે. આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, તેઓ સ્વસ્થ થઈને તેમના આરામ ખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં, ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે.


કેવી રીતે યોજાઇ છે રથયાત્રા


ભવ્ય રથયાત્રા માટે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે. ભગવાન, વિશાળ રથ પર બેઠેલા, ગુંડીચા મંદિર, તેમની માસીના ઘરે પહોંચે છે, જ્યાં તેઓ થોડા દિવસો આરામ કરે છે. આ પછી તે ફરીથી પોતાના ઘરે પરત ફરે છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે. વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે, જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને 100 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં પુરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય મળે છે.