Navratri 2020: નવરાત્રીની શરૂઆત થવાઈ જઈ રહી છે. પંચાંગ અનુસાર 17 ઓક્ટોબર 2020થી આસો નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. આ નવરાત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ જ કારણે આ નવરાત્રીની લોકો રાહ જોતા હોય છે.


નવરાત્રીનો પર્વ 9 દિવસ સુધી મનાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ માતા એટલે કે દેવીને સમર્પિત છે. એવું કહેવાય છે કે, નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં મા દુર્દાની ઉર્જા અને શક્તિની પૂજા કરવામાં આવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતે લક્ષ્મીજી અને જીવમાં શાંતિ આપનાર દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે માત મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે નોમના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીનું મહત્ત્વ

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે.

બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.