Garud puran:શું  મૃત્યુ બાદ જીવન છે, શું મૃત્યુ પીડા દાયક છે, પૂન:જન્મ કેવી રીતે થાય, મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે, આવાં પ્રશ્નો આપણા મનમાં આવે છે. જેના જવાબ ગુરૂડ પૂરાણના સંદર્ભ સાથે જ્યોતિષાચાર્ય તુષાર જોશીએ આપ્યા છે.  જાણીએ મૃત્યુ બાદ જીવનનું શું છે સત્ય  


જ્યારે કોઇ સ્વજનનું મોત થાય ત્યારે સવાલ થાય છે કે, તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો, શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકીએ. આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર,આપણા પ્રાચીન 'ગરુડ  પૂરાણ' માં છે. ગૂઢ એવા ગરૂડ પુરાણને આપણે સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ.


 મૃત્યું એક રસદાયી 'ક્રિયા' અથવા 'ઘટનાક્રમ' છે. અંદાજે મૃત્યુના 4 થી 5 કલાક પૂર્વે પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.  આ લક્ષણો એમ સૂચવે છે કે,પૃથ્વી  ચક્ર જે પગના તળીયે આવેલ છે,તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે. મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે. એમ કહેવાય છે કે, જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે,યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.


જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ,મૃત્યુનો સમય થતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.આ પ્રક્રિયાને જ 'મૃત્યુ' કહેવાય છે. એકવાર જીવાદોરી કપાઇ એટલે આત્મા શરીરથી મુક્ત થઈ જાય છે. ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ થાય છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી. અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.  મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષનો અનુભવ પણ  કરી શકે છે.


આપણે ઘણી વાર જોઈએ છીએ કે, મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે.તેને એમજ લાગે છે કે તે જીવંત છે. પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે. આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે.તે મૃમશરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે.- એ બધું જ તે આત્માને સંભળાય છે. એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે.પરંતુ કોઈને સંભળાતુ નથી. ધીરે ધીરે આત્માને સમજાય છે કે,તેનું મૃત્યુ થયું છે. તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે. તે જોવાય તથા સંભળાય છે.


 સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય.ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે,જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો,તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે.તેનો એ આત્મા 'સાક્ષી' બને છે.


જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને 'પંચમહાભૂત' માં વિલીન થતાં જોય છે ત્યારબાદ તેને 'મુક્ત' થયાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તેને સમજાય છે કે,માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે. પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાં રહેશે.જો એમનો જીવ રુપિયામાં હશે તો તેના કબાટ નજીક રહેશે.સાત દિવસ પછી -


તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ લે છે.પૃથ્વીની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે.જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે. આ મૃત્યુલોક માંથી પરલોકમાં જવા માટે એક ટનલ માંથી પસાર થવું પડે છે.આજ કારણસર કહેવાય છે કે,મૃત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે. મૃતકના સગાં સંબંધીઓએ તેની પાછળ જે કાંઇ 12 માં અથવા ૧૩માંની શાસ્ત્રોક્ત વિધિ, પીંડદાન તથા ક્ષમા-પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા, કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય. તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે તો તેમની ઉર્ધ્વગતિ માં મદદરૂપ થશે.મૃત્યુલોકથી શરૂ થતી ટનલના અંતે દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.


પૂર્વજો સાથે મિલન


 જ્યારે 11માં, 12માંની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે,કેવી રીતે ગળે મળીએ છીએ તેવું જ અહીં મિલન થાય છે. ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.


 મૃત્યુલોકના જીવનની સમીક્ષા


 અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી. જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે.જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય.એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે. ગત્  જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી.તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.  પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને


તે બદલ પશ્ચાતાપ રૂપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકારથી મુક્ત છે. આજ કારણસર દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે. ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો-કરાર (બ્લુ-પ્રીન્ટ) બનાવે છે. આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે. હકીકતમાં જીવ પોતેજ ઝીણામાં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે આ જીવાત્મા પહેલાંથી જ નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ જીવ જુએ છે કે,પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી.આ ઘટના ના પશ્ચાતાપ રુપે, તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે.તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે,જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.


 આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ) :


દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે,તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારીત જ હોય છે.જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે.જેટલી તીવ્રતાની ભાવના હશે.તે પ્રમાણે ભોગવવું પડશે.  આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે.અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની 'પીડા' ભોગવવી પડશે. એકવાર જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ-પ્રીન્ટ નક્કી કરે છે ત્યારબાદ વિશ્રાંતિનો સમય હોય છે.  દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.


જ્યોતિષાચાર્ય તુષાર જોશી, રાજકોટ