Union Budget 2023: બજેટ 2023માં કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે મર્યાદા અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.














સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે. એટલે કે વરિષ્ઠ નાગરિકો આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાના બદલે 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકશે. સંયુક્ત ખાતામાં મહત્તમ જમા રકમ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.


નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.


50 પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. આને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે સંપૂર્ણ પેકેજ તરીકે વિકસાવવામાં આવશે. રાજધાનીમાં યુનિટી મોલ ખોલવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અંતર્ગત વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે.


સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂકશે અને વિદેશમાં નોકરીનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે 30 કૌશલ્ય ભારત કેન્દ્રો સ્થાપવામાં આવશે. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને સીધી મદદ કરવામાં આવશે. ફિનટેક સેવાઓમાં વધારો કરવામાં આવશે, ડિજી લોકરની ઉપયોગિતામાં ઘણો વધારો થશે અને તેમાં તમામ ડિજિટલ દસ્તાવેજો હશે.