Budget Session: રાષ્ટ્રપતિએ કહ્યું- આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ, CAAનો ઉલ્લેખ થતાં જ તાલીઓનો ગડગડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2020 12:07 PM (IST)
રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ બીજેપી સાંસદોએ મેજ થપથપાવ્યુ, પીએમ મોદી પણ મેજ થપથપાવતા દેખાયા હતા, સહયોગી દળોએ પણ રાષ્ટ્રપતિની વાતોનું સમર્થન કર્યુ હતુ
નવી દિલ્હીઃ બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં સાંસદોને સંબોધિત કર્યા, આ દરમિયાન રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ અને ખાસ કરીને સીએએનો ઉલ્લેખ કર્યા, રાષ્ટ્રપતિના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ થતાં જ ગૃહમા તાલીઓનો ગડગડાટ થયો હતો, જોકે, વિપક્ષે હંગામો પણ કર્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ છે, આ દાયકામાં અમારી સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થયા. મારી સરકારના પ્રયાસોથી છેલ્લા પાંચ વર્ષોમાં આ દાયકાને ભારતનો દાયકો અને આ સદીને ભારતની સદી બનાવવા માટે મજબૂત પાયો નંખાયો છે. કોવિંદે નાગરિકતા કાયદાને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે, આ રીતે મહત્મા ગાંધીના સપનાઓ પુરા કર્યા છે. સીએએ બનાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઇચ્છાને પુરી કરવામાં આવી. હું પાકિસ્તાનમાં થઇ રહેલા અલ્પસંખ્યકો પરના અત્યાચારની નિંદા કરુ છુ. 'માનનીય સદસ્યગણ ભારતે હંમેશા સર્વપંથ વિચારધારામાં માન્યુ છે, પણ ભારત વિભાજનના સમયે ભારતવાસીઓ અને તેમના વિશ્વાસ પર પ્રહાર કરવામાં આવ્યા. વિભાજન બાદ બનેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતુ કે, પાકિસ્તાનના હિન્દુ અને શીખ, જે ત્યાં ના રહેવા માંગતા હોય, તે ભારતમાં આવી શકે છે. રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ બીજેપી સાંસદોએ મેજ થપથપાવ્યુ, પીએમ મોદી પણ મેજ થપથપાવતા દેખાયા હતા, સહયોગી દળોએ પણ રાષ્ટ્રપતિની વાતોનું સમર્થન કર્યુ હતુ. જોકે, વિપક્ષે આ મુદ્દે જોરદાર હંગામો કર્યો હતો.