નોટબંધી બાદ માત્ર 48 કલાકમાં વેચાયું 1250 કરોડ રૂપિયાનું 4 ટન સોનું, આઠ નવેમ્બરે સૌથી વધારે વેચાણ
ચેન્નાઇની લલિતા જવેલર્સે ૮મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં ર૦૦ કિલો સોનુ વેચ્યુ હતુ. તેના એક દિવસ પહેલા તેણે ફકત ૪૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ. એકસાઇઝ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુરમાં લાવત જવેલર્સનો સ્ટોક ૭ નવેમ્બર ૧૦૦ ગ્રામ હતો જે ૮મી તારીખે ૩૦ કિલો થઇ ગયો હતો. દેશભરમાં જવેલર્સની પુછપરછ બાદ ૪૦૦ જવેલર્સ દ્વારા ર૦ કરોડની ટેકસ ચોરીની વાત સામે આવી છે. તપાસ પુરી થયા સુધીમાં આ આંકડો ૧૦૦ કરોડ સુધી પહોંચી જશે.
અધિકારીઓનો દાવો છે કે, ૮મી નવેમ્બરે જ લગભગ બે ટન સોનુ વેચવામાં આવ્યુ હતુ જેમાંથી મોટા ભાગે બ્લેકમાંથી વ્હાઈટ કરવામાં આવ્યું હતું. દિલ્હીના એક મોટા જવેલર્સે 8 નવેમ્બરે ૭૦૦ લોકોને ૪પ કિલો સોનું વેચ્યું જયારે એક દિવસ પહેલા તેણે ફકત ૮ર૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાતના 48 કલાકની અંદર 4000 કિલોથી વધારે સોનું વેચવામાં આવ્યું હતું. જે અંદાજે 1250 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ડાયરેકટરેટ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ ઇન્ટલીજન્સના સર્વેમાં આ વાત સામે આવી છે.
ગયા સપ્તાહે એકસાઇઝ દ્વારા દેશની સૌથી મોટી જવેલરી ચેઇન જોયાલુકાસ પર દરોડો પાડયો હતો. જેમાં આ કંપનીએ એપ્રિલ થી નવેમ્બર સુધીમાં પ.૭ ટન સોનાનો કારોબાર કર્યો. જેની કિંમત ૧પ૦૦ કરોડથી વધુ છે. કંપની પર ૧ ટકા એકસાઇઝ ડયુટી ન આપવાના કારણે ટેકસ ચોરીનો આરોપ છે. એક સીનીયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે કંપનીને ૧૬ કરોડની ટેકસ ચોરી માટે નોટીસ આપવામાં આવી હતી. તપાસ બાદ આ કંપનીએ ૧૦ કરોડનો ટેકસ જમા કર્યો છે. તેની બ્રાન્ચ દેશના મોટાભાગના શહેરો ઉપરાંત દુબઇ અને અબુધાબીમાં પણ છે.
એકસાઇઝ વિભાગે દિલ્હી સ્થિત પી.પી.જવેલર્સનો પણ સર્વે કર્યો અને કંપનીને ૪.પ કરોડ રૂપિયાની સેન્ટ્રલ એકસાઇઝ જમા કરવા કહ્યુ હતુ. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેણે એપ્રિલ થી નવેમ્બર સુધીમાં ૪પ૦ કરોડના સોનાનો વેપાર કર્યો હતો. નોટીસ બાદ કંપનીએ ર કરોડનો ટેકસ જમા કર્યો. આ આંકડો મોટા જવેલર્સના રેકોર્ડ પાસેથી મેળવવામાં આવ્યો છે. આ સિવાય મોટાપાયે સોનાની દાણચોરી પણ થઇ છે. બે મહિનામાં ચેન્નાઇમાં આયકર વિભાગે એક જ દરોડામાં ૧૭૦ કિલો સોનુ જપ્ત કર્યુ હતુ. ઇડીએ બેહિસાબી સોનુ અને પ્રતિબંધિત કરન્સી પણ જપ્ત કરી હતી.