Air Indiaની ફ્લાઈટ તમારા કારણે મોડી થશે તો આપવો પડશે 15 લાખ સુધીનો દંડ, એરલાઈન્સે બનાવ્યા નવા નિયમ
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓ પર હુમલા અને ઉડાનમાં મોડું થવાની ઘટના બાદ કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. સોમવારે એરલાઈને ઉપદ્રવી પ્રવાસીઓનો સામનો કરવા માટે નવા નિયમ બનાવ્યા છે. જે અનુસાર હવે પ્રવાસીને 5થી 15 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
કંપનીની ફ્લાઇટને એક કલાક સુધી વિલંબ કરનારા મુસાફર પર એક લાખ રૂપિયાના દંડની સાથે ગુનાઇત કાર્યવાહી પણ કરવામાં આવશે. એકથી બે કલાક વિલંબ થશે તો રૂપિયા ૧૦ લાખ અને બે કલાકથી વધુનો વિલંબ થશે તો રૂપિયા ૧૫ લાખ સુધીનો દંડ વસૂલવામાં આવશે.
શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે કરેલી મારપીટની ઘટના બાદ તોફાની મુસાફરોને કાબૂમાં રાખવા માટે એર ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, તાજેતરમાં થયેલી ઘટના અને એર ઇન્ડિયાના કર્મચારીઓ સાથે વીવીઆઇપી દ્વારા દુર્વ્યવહારથી તેમની હિંમત ઘટી છે. એક હોટેલમાં પણ પ્રવેશના અધિકાર અનામત હોય છે.
એર ઇન્ડિયા પાસે પણ તોફાની મુસાફરો પર એક્શન લેવાનો અધિકાર હોવો જોઇએ.’ ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ ગત વર્ષે સાંસદો દ્વારા 'તોફાન' અને 'દુર્વ્યવહાર'ની ત્રણ ઘટના બાદ આ પગલું ભર્યું છે.