૩ વર્ષમાં ATM કોઇ કામના જ નહિ રહે, જાણો હાલમાં કેટલું ટ્રાન્ઝેક્શન થાય છે રોકડમાં
નવી દિલ્હીઃ જયપુરમાં ચાલતા સાહિત્ય મહોત્સવમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત એક ચર્ચામાં સામેલ થયા હતા. ચર્ચાને બ્રેવ ન્યૂ વર્લ્ડઃ ધ વર્ચ્યુઅલ ઇકોનોમી એન્ડ બિયોન્ડનું ટાઈટલ આપવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ અર્થવ્યવસ્થા વિષય પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવા માટે નોટબંધી જરૂરી હતી.
તેમણે કહ્યું, આપણે એક મોટી ઉથલ પાથલ વચ્ચે છીએ. હાલમાં 85 ટકા લેવડ દેવડ રોકડમાં થાય છે. તેનાથી કાળાનાણાં માટે વધુ તક ઉભી થઈ રહી છે પરંતુ આપણે મોબાઈલ ફોનની દુનિયામાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. એટલ કે કેશલેસ અર્થવ્યવસ્થા માટે આધારભૂત માળખું આપણી પાસે છે.
તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, દેશમાં આવતા ૩ વર્ષમાં એટીએમ કોઇના કામના નહી રહે. એટીએમ પોતાની પ્રાસંગિકતા ગુમાવી દેશે. આ ઉપરાંત અન્ય ટોચના સરકારી અધિકારીઓએ પણ જણાવ્યુ હતુ કે, દેશ ટુંક સમયમાં એક રોકડ રહિત અર્થવ્યવસ્થામાં પરિવર્તીત થઇ જશે અને સ્થિતિ એવી આવી જશે કે જેમાં આવતા કેટલાક વર્ષોમાં રોકડ આપતા જેવા મશીનો કોઇ કામના જ નહી રહે.
અધિકારીઓમાં આ ભરોસો દેશમાં મોબાઇલ થકી થઇ રહેલ લેવડ-દેવડને કારણે ઉભો થયો છે. તેઓનુ કહેવુ છે કે આટલા ઓછા સમયમાં આવુ થવુ કોઇ મુશ્કેલ નથી કારણ કે આ માટે આધારભુત માળખુ તૈયાર થઇ રહેલ છે.
હાલમાં જ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી સચિવ બનેલ અરૂણા સુંદર રાજને કેન્યાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, કેન્યામાં બેંકોની સંખ્યા ઓછી છે અને ટેક્નોલોજીમાં પણ જોઈએ એવી કોઈ પ્રગતિ થઈ નથી છતાં પણ ત્યાં 50-60 ટકા લેવડ દેવડ ફોન દ્વારા થાય છે.
સુંદરરાજને કહ્યું કે, એક વખત જ્યારે ચાર મોટી ટેલીકોમ કંપનીઓ ડિજિટલ બેન્કિંગ તરફ સંપૂર્ણ રીતે વળી જશે, જે આવતા વર્ષે જ થશે. ત્યારે કેશલેસ અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળશે. જોકે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આ ચર્ચામાં સામેલ અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા.