આજથી સેવિંગ એકાઉન્ટમાંથી ઇચ્છો તેટલા રૂપિયા ઉપાડી શકશો, તમામ મર્યાદા ખત્મ
હાલમાં તમામ પ્રકારની મર્યાદાને 13 માર્ચથી હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બ્લેકમની અને નકલી કરન્સી રોકવાને લઇને વડાપ્રધાન મોદીએ આઠ નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી હતી.
મુંબઇઃ બેન્કમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા આજથી ખત્મ થઇ જશે. લોકો પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી ઇચ્છે તેટલા રૂપિયા ઉપાડી શકશે. અગાઉ આ લિમિટ 50 હજાર રૂપિયા હતી. આરબીઆઇએ બે તબક્કામાં કેશ ઉપાડવાની લિમિટ ખત્મ કરવાની વાત કરી હતી.
20 ફેબ્યુઆરીએ સેવિંગ એકાઉન્ટ પર કેશ ઉપાડવાની લિમિટ 50 હજાર કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે નોટબંધી બાદથી આરબીઆઇએ યોગ્ય પ્રમાણમાં નવી નોટો બેન્કો અને એટીએમમાં પહોંચતા અગાઉ કેશ ઉપાડવાની મર્યાદા નક્કી કરી દીધી હતી.
કરન્ટ એકાઉન્ટમાં અગાઉથી લિમિટ ખત્મ કરી દીધી છે. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ ખત્મ કરી દેવામાં આવી હતી. 1 ફેબ્યુઆરીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા ખત્મ કરી દેવામાં આવી હતી પરંતુ સેવિંગ એકાઉન્ટ પર ત્યારે 24 હજાર રૂપિયા વિકલી લિમિટ જાળવી રાખવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં 20 ફેબ્રુઆરીએ સાપ્તાહિક વિડ્રોઅલ લિમિટ 50 હજાર કરાઇ હતી. હવે 13 માર્ચથી આ લિમિટ ખત્મ થઇ જશે. કરન્ટ એકાઉન્ટમાં એક ફેબ્રુઆરીથી જ આ લિમિટ ખત્મ થઇ ગઇ હતી.