હોટલ અને રેસ્ટોરાંમાં ભોજન થશે સસ્તું, સરકાર સર્વિસ ચાર્જને લઈને ટૂંકમાં જારી કરશે એડવાઈઝરી
અધિકારીએ એડવાઈઝરીની વિગતો અંગે કહ્યું હતું કે કોઈ જ ગ્રાહક પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલી ન શકાય. જો ગ્રાહક પોતે ઈચ્છે તો તે વેઈટરને ટિપ આપી શકે છે અથવા સર્વિસ ચાર્જ અંગે તેમની સંમતિ આપી શકે છે. ગ્રાહકની મંજૂરી વગર સર્વિસ ચાર્જ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ અયોગ્ય ગણાશે.
નવી દિલ્હીઃ સરકાર રાજ્યોને ભોજન અને પેય પદાર્થોના બિલમાં જોડવામાં આવતા સર્વિસ ચાર્જ વિરૂદ્ધ પગલા લેવા માટે એક એડવાઈઝરી જારી કરવાની યોજના બનાવી રહી છે. ખાદ્ય અને ઉપભોક્તા મામલના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ જાણકારી આપી.
પાસવાને કહ્યું હતું કે 'સર્વિસ ચાર્જ છે જ નહીં. તે ખોટી રીતે લેવાય છે. અમે આ મુદ્દે એક એડવાઈઝરી તૈયાર કરી છે. મંજૂરી માટે તેને પીએમઓમાં મોકલવામાં આવી છે.’ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે પીએમઓમાંથી મંજૂરી મળે એટલે રાજ્યોને આ એડવાઈઝરી મોકલી દેવાશે, જે સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા સંગઠનો માટે ઉપયોગી બનશે.